અમદાવાદ વિમાન દુર્ઘટના: 167 મૃતકોના DNA સેમ્પલ થયા મેચ, જેમાંથી 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Ahmedabad Plane Crash: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે(17-06-2025)ના સાંજે 7:45 વાગ્યા સુધીમાં 167 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 133 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું હતું. હાલ, અન્ય મૃતકોના ડીએનએની કામગીરી ચાલી રહી છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ પણ આપી માહિતી
આ અગાઉ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, આજે 21 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. દુર્ઘટના સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ 71 પેશન્ટમાંથી 2 ના મૃત્યુ થયા છે. બાકીના 69 માંથી 42 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1 દર્દીની સ્થિતિ ક્રિટિકલ છે. તથા બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. 30 મેડિકલ સ્ટુડન્ટ દાખલ કરવામાં હતા જેમાંથી હાલ એક જ સ્ટુડન્ટ દાખલ છે.
ડૉ. રાકેશ જોશીએ અત્યાર સુધી સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં ઉદેપુરના 2 વડોદરાના 16, ખેડાના 10, અમદાવાદના 41, મહેસાણાના 5, બોટાદના 1, જોધપુરના 1, અરવલ્લીના 2, આણંદના 9, ભરૂચના 5, સુરતના 4 ગાંધીનગરના 6, મહારાષ્ટ્રના 2, દીવના 5, જૂનાગઢના 1, અમરેલીના 1, ગીરસોમનાથના 3, મહીસાગરના 1, ભાવનગરના 1, લંડનના 2, પાટણના 1, રાજકોટના 1, મુંબઈના 3 અને નડિયાદના 1 ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
ડૉ.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે. જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે.
તેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.