અમદાવાદમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધવા AIનો ઉપયોગ કરાશે, રોગચાળો કાબુમાં રાખવા નવતર પ્રયોગ
AI Image |
Ahmedabad Monsoon : ચોમાસાના પ્રારંભ સાથે જ મચ્છરજન્ય બીમારીઓમાં વધારો થવાની દહેશત છે. મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધવા માટે હવે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં મેલેરિયાના માત્ર 95 કેસ નોંધાયા હોવાનો દાવો
વર્ષ 2030 સુધી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તમામ વિસ્તારોને મેલેરિયામુક્ત રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગ પર અંકૂશ મેળવવા માટે આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિસ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેકટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર જીઆઇડીસી અને સાણંદ જીઆઇડીસીના સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, ચા.વાસણા, બોળ, શિયાવાડા, છારોડી વિસ્તારોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દ્વારકા, ભાવનગર અને વડોદરા સહિત 8 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ, સુરતમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ
અમદાવાદ જિલ્લામાં વર્ષ 2019 દરમિયાન 58 કેસ, 2020માં 20 કેસ, 2021માં 5 કેસ, 2022માં 5 કેસ, 2023માં 2 કેસ અને 2024માં 6 મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ચાલું વર્ષ 2025માં મેલેરિયાના એક પણ કેસ અત્યાર સુધીમાં નોંધાયો નથી. આમ, વર્ષ 2021થી મેલેરિયાના કેસો સિંગલ ડિજિટમાં નોંધાઇ રહ્યા છે. એટલું જ નહી અમદાવાદ જિલ્લામાં છેલ્લાં 5 વર્ષમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ થયેલું નથી તેવો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Gujarat Rain : સુરતમાં 13.6 ઇંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર
મેલેરિયા કેવી રીતે ફેલાય છે ?
મેલેરિયા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતાં માદા એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાતો અને પ્લાસમોડીયમ નામના પરોપજીવી જંતુથી થતો રોગ છે. માદા એનોફિલીસ મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે અને ત્યારબાદ આ મચ્છર તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે.