Get The App

અમદાવાદના અડાલજ નજીક લૂંટ વિથ મર્ડર, બર્થડે મનાવવા ગયેલા યુવકની છરીના ઘા મારી હત્યા

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના અડાલજ નજીક લૂંટ વિથ મર્ડર, બર્થડે મનાવવા ગયેલા યુવકની છરીના ઘા મારી હત્યા 1 - image


Ahmedabad : અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેની સાથે રહેલી યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન, કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટના ઇરાદે આવેલા આ અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી નિર્વસ્ત્ર મળી આવી હતી. પોલીસને શંકા છે કે લૂંટારાઓએ તેની સાથે પણ અજુગતું કૃત્ય કર્યું હોઈ શકે છે. યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે શું કહ્યું? 

નાયબ પોલીસ અધિક્ષક પીયૂષ વાંડાના જણાવ્યા મુજબ, શનિવારે વહેલી સવારે લગભગ 2.30 વાગ્યે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને અંબાપુર કેનાલ રોડ પર હુમલા અંગે ઈમરજન્સી કોલ મળ્યો હતો. આ સ્થળ સરદારનગર નજીકનો એકદમ નિર્જન વિસ્તાર છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમને અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી. 

ડીવાયએસપી વાંડાએ જણાવ્યું કે તપાસકર્તાઓ આ ગુનાને લૂંટ-કમ-હત્યા તરીકે ગણી રહ્યા છે. 'અમારું પ્રાથમિક મૂલ્યાંકન દર્શાવે છે કે લૂંટનો ઈરાદો હતો. આ તબક્કે જાતીય હુમલાનો કોઈ પુરાવો નથી. ઈજાગ્રસ્ત મહિલા હજુ નિવેદન આપવાની સ્થિતિમાં નથી. જ્યારે તે સંપૂર્ણ ભાનમાં આવશે ત્યારે તેનું નિવેદન મહત્વનું બની રહેશે. '

અધિકારીએ ઉમેર્યું કે હુમલાખોરને પકડવા માટે આઠ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એક જ હુમલાખોરની સંડોવણી હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ તપાસ આગળ વધતાં તમામ શક્યતાઓ ખુલ્લી રાખવામાં આવી છે.

ફોરેન્સિક તપાસ અને સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ

ફોરેન્સિક સાયન્સ ટીમ રાત્રે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી અને જૈવિક નમૂનાઓ તથા અન્ય પુરાવા એકઠા કર્યા. પોલીસે ઘટના પહેલાં અને પછી હુમલાખોરની હિલચાલને ટ્રેસ કરવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. આ કપલ મોડી રાત્રે કેનાલ રોડ પર શા માટે આવ્યું, તે સહિત ઘટનાક્રમની તપાસ ચાલી રહી છે. મહિલાનું નિવેદન મળ્યા બાદ અમને વધુ સ્પષ્ટ ચિત્ર મળશે. 

ભૂતકાળમાં પણ બની ચૂકી છે લૂંટની ઘટનાઓ

સ્થાનિક રહેવાસીઓએજણાવ્યું હતું કે અંબાપુર કેનાલ રોડ પર ભૂતકાળમાં પણ હિંસક લૂંટની ઘટનાઓ બની છે. તેમણે સત્તાવાળાઓને રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આ વિસ્તારમાં વધુ સારી લાઇટિંગ અને સર્વેલન્સ ઇન્સ્ટોલ કરવા વિનંતી કરી છે.

Tags :