વડોદરા: વર્ષો બાદ આજવા સરોવરમાં જૂન મહિનામાં જ પાણીની સપાટી 211 ફૂટ થી થોડી છેટે રહી
વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરમાં ઘણા વર્ષો બાદ જૂન મહિનામાં જ પાણીની સપાટી 210.50 ફૂટ વટાવી ગઈ હોય તેવું જોવા મળ્યું છે. જૂન મહિનામાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ આજવાના ઉપરવાસ માં ભારે વરસાદ થવાના કારણે આવા સંજોગો ઊભા થયા છે. હાલ આજવા સરોવરના 62 દરવાજાનું લેવલ 211 ફૂટે સેટ કરી રાખ્યું છે, એટલે કે 15 ઓગસ્ટ સુધી આજવામાં 211 ફૂટથી વધુ પાણી સરકારની માર્ગદર્શિકા મુજબ ભરી શકાશે નહીં. 211 ફૂટથી જેટલું પણ પાણી વધારે ભરાશે તે ગેટમાંથી બહાર વિશ્વામિત્રી તરફ નીકળી જશે.
છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ ખૂબ જામતા આજવાની સપાટી ઝડપભેર 210.50 થી પણ આગળ વધી ગઈ હતી. જો કે ગઈકાલથી વરસાદ બંધ હોવાથી સપાટી વધવાનું બંધ થયું છે, છતાં સપાટી 210.64 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. આજે બપોરે આજવાની સપાટી ઘટીને 210.61 ફૂટ નોંધાઈ હતી. આજવા સરોવરમાં પાણી ઠાલવતી આસોજ ફીડર નું લેવલ પણ 0.13 ફૂટ થઈ ગયું હતું, એટલે આજવા લેવલમાં હાલ બહુ ફરક પડે તેવું લાગતું નથી .અત્યારે ઉઘાડ છે. ચાલુ સિઝનમાં આજવામાં મોસમનો કુલ વરસાદ 406 મીમી, આજવાના ઉપરવાસ પ્રતાપપુરા માં 533 મીમી, હાલોલમાં 639 મીમી અને ધન્સર વાવમાં 597 મીમી વરસાદ નોંધાયો છે.
વરસાદ થંભી જતા વિશ્વામિત્રીનું લેવલ પણ ઝડપથી ઘટી રહ્યું છે. આજે બપોરે તેની સપાટી 6.76 ફૂટ હતી. જૂન મહિનામાં જ આજવા સરોવર લગભગ 211 ફૂટ નજીક પહોંચી જતા શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે .હવે જો ટેકનિકલ વિતરણ નો પ્રશ્ન કોર્પોરેશનનું તંત્ર ઉકેલ લે તો આ વિસ્તારમાં પાણીની કોઈ તકલીફ પડે નહીં.