યાત્રાધામ દ્વારકા બાદ 150 કરોડનાં ખર્ચે બેટ દ્વારકાની કાયાપલટ થશે
સરકાર દ્વારા પ્રથમ તબક્કા માટે ભંડોળની ફાળવણી : મુખ્ય મંદિરથી બીચ સુધીનાં વિસ્તારને વિકસાવાશે : હેરિટેજ થીમ પર લાઇટિંગ, ભીંતચિત્રો, વોક-વે, પબ્લિક પાર્ક, ખાણીપીણીનાં સ્ટોલ વગેરે ઉભા કરવા આયોજન
જામ ખંભાળિયા, : છેલ્લા આશરે એકાદ દાયકાના સમયગાળા દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકાના વિવિધ ધર્મસ્થળોના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમાં દ્વારકાના સુદર્શન બ્રિજ તેમજ સુદામા સેતુ વિગેરેના નિર્માણ સાથે રસ્તાઓ પણ સારા બની જતા યાત્રાળુઓ-પ્રવાસીઓની સંખ્યા દિવસે વધી રહી છે. આ પરિસ્થિતિમાં દ્વારકા સાથે બેટ દ્વારકાના વિવિધ સ્થળોમાં પણ વિકાસ કાર્યો માટે પ્રથમ તબક્કાના રૂપિયા 150 કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓની સુવિધા અર્થે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા સમયાંતરે કરવામાં આવતી રજૂઆતો તેમજ પ્રયાસોને સફળતા મળી રહી છે. જેમાં દ્વારકાના વિકાસ બાદ હવે ભગવાન શ્રીકૃષ્ણની નગરી બેટ દ્વારકામાં પણ વર્લ્ડ ક્લાસ સ્તરે કાયાપલટ માટેના આયોજનો થઈ રહ્યા છે. બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કા માટે રૂપિયા ૧૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
જેમાં બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી બીચ સુધીના વિસ્તારને કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. ડોલ્ફિન માટે જાણીતો એક માત્ર બેટ દ્વારકાનો નોર્થ પદમ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી સમયમાં ફેઝ 2 અને 3 અંતર્ગત યાત્રિક સુવિધામાં પણ વધારો કરવા વિવિધ પ્રકારના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ બેટ દ્વારકા-હનુમાન દાંડીને સાંકળતા માર્ગ પર હેરિટેજ થીમ હેઠળ લાઇટિંગ, ભીંતચિત્રો, બેઠક વ્યવસ્થા વિગેરે ઉપરાંત પબ્લિક પાર્ક, ખાણીપીણીના સ્ટોલ, વોક-વે વિગેરે સુવિધા પણ ઉભી કરવામાં આવશે. જેનાથી અહીં નયનરમ્ય દ્રશ્યોનો લાભ યાત્રાળુઓ લઇ શકશે. બેટ દ્વારકામાં સુદર્શન સેતુના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે દ્વારકા જિલ્લા સાથે અન્ય ધામક સ્થળો અને ઐતિહાસિક સ્થળોએ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડો રૂપિયાના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે.