Gujarat

સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણીની ટાંકી પમ્પ મુકાશે

By GS TEAM
10 Apr 20262 mins read
TukuTouch Logo
ડિસ્પોઝલ સાઈટ પર સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરાશે : એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ 'રેનેઝાઇમ' નામના બાયો-એન્ઝાઈમનો ઉપયોગ કરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણીની ટાંકી પમ્પ મુકાશે

Surat Corporation : સુરત પાલિકાના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર આગથી ભારે પ્રદુષણ બાદ જીપીસીબીએ પાલિકાને નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ખજોદમાં આગનું કારણ જાણવા માટે મોનિટરીંગ કરવા સીસીટીવી કેમેરા અને આગ લાગે તો ઝડપથી પાણી પુરવઠો મળે તે માટે ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણીની ટાંકી પમ્પ માટે આયોજન કર્યું છે. આ ઉપરાંત એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ 'રેનેઝાઇમ' નામના બાયો-એન્ઝાઈમનો ઉપયોગ માટે પણ કવાયત હાથ ધરી છે. 

સુરત પાલિકાની ખજોદ ડમ્પિંગ સાઈટ પર કચરામાં લાગેલી આગના ધુમાળા છેક દિપલી ગામ સુધી પહોંચ્યા હતા. જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી ફરિયાદ બાદ જીપીસીબી એક્શનમાં આવ્યું હતું. પાલિકાની ગંભીર બેદરકારી બદલ જીપીસીબીએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ આપવા માટે તાકીદ કરી છે. આ નોટિસ બાદ પાલિકા તંત્ર ખજોદ માટે અલાયદી વ્યવસ્થા માટે મંડી પડ્યું છે. ખજોદ ખાતે ગત તા.24 મી માર્ચે સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીના પ્રોસેસિંગ પ્લાન્ટ પાછળ સ્ટોર કરાયેલા આરડીએફના જથ્થામાં આગ બુઝાવવા માટે પાલિકા દ્વારા 10 ફાયર ટેન્ડર અને આશરે 82 લાખ લિટર પાણીનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ આગ ફેલાઈ નહિ તે માટે 18 જેટલા પોકલેન અને જેસીબી મશીન દ્વારા 140 ટ્રકના 250 થી વધુ ફેરા કરી 1500 ટન માટીનો જથ્થો ઢાંકવામાં આવ્યો છે.

વારંવાર બનતી આવી ઘટના નિવારવા માટે પાલિકામાં તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નિષ્ણાતો દ્વારા 'બાયો કલ્ચર'નો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ 'રેનેઝાઇમ' નામના બાયો-એન્ઝાઈમનો ઉપયોગ કરી મિથેન ગેસને બ્રેક કરી આગ અને ધુમાડાને નિયંત્રિત કરવા માટે આજે સફળતાપૂર્વક ડેમો કરવામાં આવ્યો હતો. આ બાયો-એન્ઝાઈમ અને ફાયર ફાઈટિંગ ફોર્મનો ડ્રોનના માધ્યમથી છંટકાવ કરવાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

 આ ઉપરાંત આગનું કારણ જાણવા તથા ત્વરિત માહિતી મળે તે માટે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આગની ઘટનામાં ફાયર ટેન્ડરોને પાણી રિફિલ કરવા માટે ભીમરાડ કે અલથાણ ન જવું પડે તે માટે ખજોદ નજીક ડ્રીમ સિટીમાં આવેલી 5 લાખ લિટરની ટાંકી પર પંપની વ્યવસ્થા કરી સાઈટ પર જ સતત પાણીનો પુરવઠો મળે તેવી કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આમ જીપીસીબીની નોટિસ બાદ પાલિકા તંત્રએ ખજોદ ખાતેની કામગીરી શરૂ કરી છે.