સુરત: મોટા વરાછા બાદ હવે પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં ભાજપના કાર્યકરોને ફાળવેલા પ્લોટ સામે સ્થાનિકોનો વિરોધ
સુરત પાલિકાના ભાજપ શાસકો દલાતરવાડી બનીને ખુલ્લા પ્લોટની કાર્યકરોને જ લ્હાણી કરી રહ્યાં છે તો બીજી તરફ રહેણાંક વિસ્તારની બાજુમાં ફાળવેલા પ્લોટ સ્થાનિકો માટે આફત બની રહ્યાં છે. કતારગામ ઝોનમાં આવા સંખ્યાબંધ પ્લોટને નોટિસ આપી છે પરંતુ ત્યાર બાદ કોઈ કામગીરી ન થતાં લોકોને માથે જોખમ ઉભું થઈ રહ્યું છે. મોટા વરાછા અને અઠવા ઝોન વિસ્તારમાંથી પણ પ્લોટ ફાળવણી સામે લોકોનો વિરોધ બહાર આવી રહ્યો છે.
સુરતમાં ભાજપના કાર્યકરોને સેટ કરવા માટે પાલિકાના પ્લોટ ભાડે આપવાની પ્રથા પ્લોટની આસપાસના લોકો માટે આફત બની ગઈ હતી. પાલિકાએ ફાળવેલા પ્લોટમાં જ અનેક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેથી પાલિકાના ફાળવેલા પ્લોટથી ત્રાહિમામ થઈ ગયેલા મોટા વરાછાના રહીશોએ પ્લોટ ફાળવણી કેન્સલ કરવા માટે અનેક રજૂઆત કરી પરંતુ પાલિકાએ પ્લોટ ફાળવણી કેન્સલ કરવાના બદલે પ્લોટ સીલ કરી દીધા છે.
હવે મોટા વરાછા બાદ પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં ફાળવેલા સ્ટોલ સામે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. હાલમાં પાલિકાએ અઠવા ઝોન મા ટીપી સ્કીમ નંબર 36માં ફાઈનલ પ્લોટ નંબર 65 ધવલ આહિર નામના વ્યક્તિને એક રૂપિયા પ્રતિ ચોમી છ મહિના માટે ફાળવવામાં આવ્યો છે. જેમને પ્લોટ ફાળવવામાં આવ્યો છે તેઓએ બોક્સ ક્રિકેટ મેદાન બનાવી રહ્યા છે. આ પ્લોટની આસપાસ ચાઈના ગેટ, શિવ શક્તિ, પુષ્પરાજ સોસાયટી, સારથી એપાર્ટમેન્ટ, સાઈનાથ સોસાયટી સહિત અનેક રહેણાંક સોસાયટી આવી છે. આ સોસાયટીના રહીશોએ પાલિકાને પત્ર લખીને આ પ્લોટ સામે વિરોધ કરતા કહ્યું છે કે, આ પ્લોટ નાનો છે અને પ્લોટમાં પીપળો અને ઔદુમ્બરનું વૃક્ષ છે. અહીં ક્રિકેટ મેદાન શક્ય નથી અને ક્રિકેટના કારણે આસપાસના લોકોને મુશ્કેલી પડી શકે છે તેથી આ ફાળવણી રદ્દ કરવા માટે માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત હાલમાં અલથાણ મેટ્રોની બાજુમાં પાલિકાનો પ્લોટ પણ ફાળવવામાં આવ્યો છે તેમાં નોનવેજ સ્ટોલ બનાવી દેવામાં આવ્યા છે. પાલિકાના કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટમાં પણ નોનવેજ પર પ્રતિબંધ છે પરંતુ પાલિકાએ ફાળવેલા પ્લોટમાં નોનવેજના સ્ટોલ બની ગયાં હોવા છતાં પાલિકાએ હજી સુધી કોઈ પગલાં ભર્યા નથી તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાલિકાએ આવી રીતે અન્ય જગ્યાએ પણ પ્લોટની ફાળવણી કરી છે અને તે પ્લોટ પણ લોકો માટે આફત બની રહ્યાં છે તેમ છતાં પાલિકા આ પ્લોટની ફાળવણી રદ્દ કરતી ન હોવાથી લોકો માટે આફત બની રહી છે અને તેના કારણે લોકોમાં પાલિકા અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.