હીરાબાના નિધન બાદ આખું વડનગર શોકમગ્ન, વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળ્યો
અમદાવાદ, 30 ડિસેમ્બર 2022, શુક્રવાર
વડાપ્રધાન મોદીના માતા હિરાબાનું શતાયુ વર્ષે નિધન થયું છે. તેમના નિધનને લઈને સમગ્ર દેશના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ત્યારે તેમનું વતન પણ શોકમગ્ન છે. તેમના વતન વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને શ્રદ્ધાંજલી આપશે. હીરાબાની વડનગરમાં અનેક યાદો જોડાયેલી છે. તેઓ એક નીડર મહિલા તરીકે એ સમયે વડનગરમાં ઓળખ ધરાવતાં હતાં. વડાપ્રધાન મોદીએ પણ તેમના બ્લોગમાં વડનગરની યાદોને હીરાબાના જન્મ દિવસે યાદ કરી હતી.
વડનગરના વેપારીઓએ બંધ પાળવાની જાહેરાત કરી
વડનગરના વેપારી એસોસિએશને સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાજલી આપી છે. હીરાબાના અવસાન બાદ વડનગરના લોકોમાં પણ શોકની લાગણી છે. વેપારીઓએ આજે સવારે જ જાહેરાત કરી હતી કે, વડાપ્રધાનના માતૃશ્રીનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળશે. નગરના સર્વે નાગરીકો આ દુઃખદ પ્રસંગે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે.
હીરાબાની તબિયતને લઈને વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા કરાઈ હતી
જ્યારે હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત ફરીથી તંદુરસ્ત થાય તે માટે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. હીરાબાના દીર્ઘ આયુષ્યને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર મંદિરમાં ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈ પરત ફરે તેવી હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના કરાઈ હતી.