સુરેન્દ્રનગર જિલ્લામાં 40 ડિગ્રીએ પારો પહોંચ્યા બાદ બાદ સાંજે ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી
Surendranagar Rain Updates : સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં શનિવારે બપોરે 40 ડિગ્રી તાપમાન બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ જામ્યું હતું અને અડધાથી સવા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. મુળી પંથકમાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ, વરસાદ પડતા જ લાઈટ ગુલ થઇ હતી.
સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે 15 જુન આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય છે પરંતુ ચાલુ વર્ષે હવામાન વિભાગ દ્વારા વહેલું ચોમાસું બેસસે તેવી આગાહી કરવામાં આવી હતી. છતાંય જીલ્લામાં ક્યાંય વરસાદી માહોલ જોવા ન મળતા ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે. તેમજ જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચતા લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે તેમજ અસહ્ય ગરમી અને ઉકળાટના કારણે તેની જનજીવન પર અસર પણ જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે સાંજે એકાએક કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના ભયાનક કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર વિસ્તારમાં વરસાદ પડવાની સાથે જ લાઈટો જતી રહી હતી. બીજી તરફ મુળી તાલુકામાં સાંજના છ થી આઠ વાગ્યા દરમિયાન ૨૯ સસ એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જ્યારે ચોટીલા પંથકમાં ત્રણ મીલીમીટર અને થાનગઢ પંથકમાં 15 મિલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
સવારે વીજકાપ સાંજે વરસાદથી લાઈટો ગુલ
સુરેન્દ્રનગરમાં શનિવારે સવારે પીજીવીસીએલ દ્વારા નવા જંકશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં સવારે 7થી 12 પાવર કાપ રાખવામાં આવ્યો હતો અને સાંજે વરસાદ પડતા જ છ વાગ્યાથી લાઈટો ગુલ થઈ ગઈ હતી. જેના કારણે શહેરવાસીઓને આખો દિવસ લાઈટ વગર બફારામાં કાઢવો પડતા રોષની લાગણી ફેલાઈ હતી.