વકીલે ધી કાંટા કોર્ટમાંથી નજર ચુકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી
વકીલના કબુલાત કરતા કાંરજ પોલીસે ગુનો નોંધ્યો
ઓઢવમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ છોડાવવા માટે વકીલે અરજી કરી હતીઃ વકીલની ધરપકડ કરીને કાર્યવાહી થશે
અમદાવાદ,રવિવાર
ધી કાંટા કોર્ટમાં એક વકીલે નજર ચુકવીને કોર્ટના મહત્વના દસ્તાવેજની ચોરી કર્યાની ફરિયાદ કાંરજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. ઓઢવમાં નોંધાયેલા છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજના ગુનામાં વકીલ દ્વારા મુદ્દામાલ છોડાવવાની અરજી કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં તેણે ડોક્યુમેન્ટની ચોરી કરી હતી.
ધી કાંટા કંપાઉન્ડમાં આવેલી એડીશનલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં બેન્ચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ કુંપાવતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ઓઢવ આદિનાથનગર પાસે મંગલમ પાર્કમાં રહેતા અનામિકા શર્માએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જપ્ત કરાયેલો મુદ્દામાલ પરત મેળવવા માટે સંજય દેસાઇ (રહે.ઉમિયાનગર, વસ્ત્રાલ) મારફતે કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે પોલીસ પાસે અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. જેના દસ્તાવેજ કોર્ટમાં રેકર્ડ પર હતા.
ગત ૧૭મી જુલાઇએ વકીલ સંજય દેસાઇ કોર્ટમાં આવ્યા હતા અને તેણે જણાવ્યું હતું કે અરજદાર પાસે મુદ્દામાલનું બીલ ન હોવાથી અરજી પરત ખેંચીને નવી અરજી કરવાની છે. જેથી તે અરજી પ્રકરણ કરી હતી. આ સમયે સંજય દેસાઇ નજર ચુકવીને મુદ્દામાલની અરજીના પ્રકરણ અને દસ્તાવેજ લઇ ચાલ્યા ગયા હતા. આ અંગે તેમની પુછપરછ કરતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જો કે આકરી પુછપરછ કરતા તેમણે ડોક્યુમેન્ટ ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું. પરંતુ, અસલી દસ્તાવેજ પરત કર્યા નહોતા. જે અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.