- ક્લાસ વન અધિકારીની 69 પૈકી 27 ખાલી જગ્યા ઉપર વધારાનો ચાર્જ
વડોદરા, તા. 28
છેલ્લા ઘણા સમયથી વડોદરા કોર્પોરેશનમાં ખાલી જગ્યા ઉપર કાયમી નિમણૂક બાબતે અધિકારીઓમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે. વધારાના ચાર્જથી કંટાળેલા અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત પણ કરી ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે, ક્લાસ વન અધિકારીની 69 પૈકી 27 ખાલી જગ્યા ઉપર વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વિકાસની દ્રષ્ટિએ વધારાના હવાલા ઉપર કાયમી નિમણૂક જરૂરી બને છે.
શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાની જેની ફરજ છે. તે વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા વર્ષોમાં ઊભી થયેલી ખાલી જગ્યાઓ ભરવામાં થઈ રહેલાં અતશિય વિલંબની અસર શહેરના વિકાસ ઉપર વર્તાઈ છે. કોર્પોરેશનના વહીવટી માળખામાં કામો કરવાની તમામ સત્તા વહીવટી પાંખ હસ્તક રહેલી છે. ત્યારે વહીવટી પાંખના મહત્વના ગણાતા હોદ્દા પર પોતાના કહ્યામાં હોય તેવા અધિકારીને મૂકવાની પ્રબળ ઈચ્છા ચૂંટાયેલી પાંખ રાખતી હોય છે. ચૂંટાયેલી પાંખની આવી ધેલછા શહેરના વિકાસના બદલે ચોક્કસ નેતાઓને કેન્દ્રમાં રાખી કરવામાં આવતી હોય લાંબા સમયથી કોઈ નક્કર વિકાસની વાતો આગળ આવતી નથી. તાજેતરમાં કોર્પોરેશનના શૈલેષ નાયક, અલ્પેશ મજમુદાર, ધીરેન તળપદા, રાજેશ શિમ્પી અને અમૃત મકવાણાએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલને રજૂઆત કરી હતી કે, વહીવટી વિભાગો દ્વારા જુદા જુદા ઉચ્ચ હોદ્દાઓનો કાર્યભાર ચાર્જ સોંપી હાલ અમારી પાસે કામગીરી કરવામાં આવી રહી છે. જે તે હોદ્દા ચાર્જ આપી કામગીરી કરવામાં આવે છે. તે હોદ્દા પર કાયમી નિમણૂક સત્વરે કરી આપવી જરૂરી બને છે. આ બાબતે ઘણા વર્ષોથી કરેલ વધારાની કામગીરીનું વેતન, મહેનતાણું (ચાર્જ એલાઉન્સ) પણ મળ્યું નથી. અગાઉ પણ અધિકારીઓએ વારંવાર મૌખિક અને લેખિતમાં સંયુક્ત રીતે એક મતે રજૂઆત કરી છે. તેમ છતાં અધિકારીને કાયમી નિમણૂક અને ચાર્જ એલાઉન્સ બંને આજદિન સુધી મળ્યા નથી. હવે સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી નિવૃત્ત થતા વધારાના હવાલાનો કચવાટ અધિકારીઓમાં ઉભો થયો છે.


