Gujarat

કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે

By GS TEAM
6 Jan 20262 mins read
કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે

મુળીના ખંપાળીયા ગામની સરકારી જમીનમાં

સ્થળ પરથી સાત વીજ ટ્રાન્સફોર્મર ઉતારી કબજે કરાયા ઃ ગેરકાયદે ખનન અંગે માપણી કર્યા બાદ પગલાં ભરાશે

સુરેન્દ્રનગરમુળીના ખંપાળીયા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન કરનાર ૧૧ ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ હાથ ધરાઇ છે. સ્થળ પરથી ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મુળી મામલતદાર, મુળી પીજીવીસીએલની સંયુક્ત ટીમો દ્વારા ૦૭ વીજ ટ્રાન્સફોર્મર ઉતારી કબજે કરવામાં આવ્યા છે.

મુળી તાલુકાના ખંપાળીયા ગામની સરકારી સર્વે નંબર ૫૦ તથા ૧૬૧ વાળી જમીનમાં અંદાજે ૦૬ મહિના પહેલા ચોટીલા ડેપ્યુટી કલેકટર અને તેમની ટીમે દરોડો પાડયો હતો. તે સમયે તપાસ દરમિયાન (૧) ખોડાભાઇ લીંબાભાઇ રબારી (૨) આલાભાઇ લીંબાભાઇ રબારી (૩) પ્રભુભાઇ ઘુસાભાઇ કોળી (૪) જેમાભાઇ હરજીભાઇ બાવળીયા (૫) પેમાભાઇ હરજીભાઇ બાવળીયા (૬) ખીમાભાઇ મેરુભાઇ રબારી (૭) મેરુભાઇ રામાભાઇ રબારી (૮) ગોવિંદભાઇ લાખાભાઇ રબારી (૯) રાજાભાઇ લાખાભાઇ રબારી (૧૦) મંગાભાઇ કાનાભાઇ બાવળીયા (૧૧) ભીમાભાઇ ભરવાડ સહિતનાઓ દ્વારા ગેરકાયદેસર કોલસાનું ખનન કરી સરકારી મિલકતને મોટાપાયે નુકશાન પહોચાડયું હોવાનું સામે આવ્યું હતું.

જેના ભાગરૃપે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મુળી મામલતદાર, મુળી પીજીવીસીએલ સહિતની સંયુક્ત ટીમો દ્વારા તાજેતરમાં ફરી એ જ સરકારી સર્વે નંબરની જમીનોની મુલાકાત લઈ સ્થળ પર થી ૭ (સાત) વીજ ટ્રાન્સફોર્મર (ટી.સી.) ઉતારી કબજે કર્યા હતા અને સ્થળ ૫ર કેટલુ ખનન કરવામાં આવ્યું છે ? કેટલુ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે ? સહિતની બાબતોની તપાસ કરી તમામ ૧૧ ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી હાથ ધરી છે.