Gujarat

દિવાળીના તહેવારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક્શન પ્લાન

By GS TEAM
18 Oct 20252 mins read
દિવાળીના તહેવારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક્શન પ્લાન

વડોદરાઃ દિવાળી પર્વના તહેવારોની ઉજવણી સાથે જ શહેરમાં ચારે તરફ રોશનીની ઝાકઝમાળ જોવા મળી રહી છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીએ આ તહેવારોમાં વીજ પુરવઠો સતત ઉપલબ્ધ રહે તેને ધ્યાનમાં રાખીને શહેર માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

વીજ કંપનીના સૂત્રોેએ કહ્યું હતું કે, સામાન્ય રીતે દરેક સબ ડિવિઝનમાં નાઈટ શિફટમાં ૨ થી ૩ કર્મચારીઓ તૈનાત રહેતા હોય છે.જોકે સમગ્ર સપ્તાહ દરમિયાન પાંચ થી સાત કર્મચારીઓની ટીમ તૈનાત રાખવામાં આવશે.દરેક સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરને સ્થિતિ પર સતત નજર રાખવાની સૂચના આપી છે.

વીજ કંપનીના ઉપકરણો અને સ્પેર પાર્ટસ રાખવા માટેના સ્ટોર પર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે.જેથી ફટાકડાના કારણે આગ લાગે તો તરત જ પગલા લઈ શકાય.આ માટે ગઈકાલે એક મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત વડોદરા શહેરના ત્રણ ડિવિઝનમાં દરેક ડિવિઝન દીઠ ત્રણ થી ચાર ટ્રાન્સફોર્મર્સનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે.જેથી કોઈ ટ્રાન્સફોર્મર ખોટકાય તો તેને તરત બદલી શકાય.

ચારે તરફ રોશની પણ વીજ માગમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થશે

દિવાળીના તહેવારોમાં ચારે તરફ ઝાકમઝોળ અને લાઈટિંગના કારણે સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે, આ સમયમાં વીજ વપરાશમાં વધારો થાય છે.વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, હકીકત તેનાથી અલગ છે.દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી મોટાભાગના ઉદ્યોગો, ઓફિસો અને વ્યવસાયો બંધ રહેતા હોય છે.જેના કારણે વીજ માગ ઘટી જાય છે અને ભલે ઠેર ઠેર દિવાળીની રોશની હોય પણ સરવાળે આ સમયગાળમાં વીજ માગમાં ૨૦ ટકા જેટલો ઘટાડો જોવા મળતો હોય છે.