જામજોધપુરના વાંસજાળીયા ગામમાંથી અઢી વર્ષ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર આરોપી સુરેન્દ્રનગરના થાનગઢમાંથી સગીરા સાથે પકડાયો
Jamnagar Police : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં 17 વર્ષની વયની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર શખ્સને પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી સગીરા સાથે ઝડપી લીધો છે. જે ભોગ બનનાર એક બાળકની માતા બની ગઈ છે, અને તેને એક માસનો પુત્ર છે. જેને હાલ મેડિકલ તપાસણી અર્થે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જ્યારે અપહરણ કરી જનાર આરોપી સામે જુદી જુદી કલમો હેઠળનો ગુન્હો નોંધાયો છે, જેમાં તેની ધરપકડ કરી લેવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વાસજાળીયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જે બનાવા અંગે સગીરાના પિતાએ જામજોધપુર પોલીસ મથકમાં પોતાની પુત્રીના અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે વાંસજાળીયા ગામમાં જ રહેતા નિલેશ બટુકભાઈ મોરી (26) સામે ફરિયાદ નોંધાવી હતી.
જે આરોપીને જામનગરની એ.એચ.ટી.યૂ. પોલીસ વિભાગની ટીમ શોધી રહી હતી, જે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી, કે આરોપી નિલેશ મોરી કે જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક સીરામીકના કારખાનામાં મજૂરી કામ કરે છે, અને એક ઓરડી ભાડેથી રાખીને ત્યાં રહે છે. જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ આજે સવારે દરોડો પાડી આરોપી નિલેશ મોરીને ઝડપી લીધો હતો.
જેની સાથે સગીરા પણ મળી આવી હતી. પરંતુ તેણી પ્રસુતા બની ગઈ હતી, અને એ પુત્રને જન્મ આપ્યો હતો, તે હાલ એક માસનો છે. જેને પણ સાથે લઈ આવ્યા પછી મેડિકલ તપાસણી માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જ્યારે આરોપીની પોકસો, અપહરણ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરાયો છે.