Gujarat

કલકત્તામાં જ્વેલર્સની હત્યા કરી નાસતો ફરતો આરોપી ગુજરાત ATSએ મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
કલકત્તામાં જ્વેલર્સની હત્યા કરી નાસતો ફરતો આરોપી ગુજરાત ATSએ મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો

અમદાવાદ, તા. 2 માર્ચ 2022 બુધવાર

14 ફેબ્રુઆરી 2022એ કલકતાના ભવાનીપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસના રૂમમાં જ્વેલર શાંતીલાલ વૈદ્યનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો. જેની જાણ થતા લોકલ પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલા પુરાવા તથા સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસ ચાલુ કરી. 

જે દરમિયાન જાણવા મળ્યુ કે મૂળ દિલ્હીના દિલશાદ ગાર્ડનના રહેવાસી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્મા ઉં.વ.28 એ મૃત્યુ પામનાર શાંતીલાલ વૈદ્યનુ અપહરણ કરી તેમના કુટુંબને ધમકી ભર્યો ફોન કરી 1 કરોડની ખંડણી માગી હતી. જે એક્ષ્ટોર્શન કોલની વાતચીતમાં નક્કી થયેલા 25 લાખ ખંડણી પેટે મેળવેલા હતા અને તેમ છતાં જ્વેલર્સ શાંતિલાલ વૈદ્યની હત્યા કરી પોતે નાસી ગયો હતો.

આરોપી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્મા બનાવ બાદ નાસી છૂટતા કલકત્તા, કટક તથા ભુવનેશ્વર શહેરની પોલીસ આ હત્યારાની શોધમાં હતી.ઓડિશા પોલીસે આરોપી ઉપર રૂ. 50,000 નુ રોકડ ઈનામ પણ જાહેર કર્યુ હતુ. જે દરમિયાન એટીએસ ગુજરાતને માહિતી મળી કે આ ઘાતકી હત્યા અને ખંડણીના કેસમાં નાસતો ફરતો આરોપી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્મા પોતાનુ નામ - ઓળખ છુપાવી મહારાષ્ટ્રના શીરડી ખાતે છુપાયેલો છે. જેના આધારે એટીએસ ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર તથા પો.સબ ઈન્સ. ની ટીમે મહારાષ્ટ્રના શીરડીથી અપહરણ, મર્ડર તથા ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્મા ઉર્ફે વીર શર્માને ગુપ્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડ્યો છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે પકડાયેલો આરોપી વિશાલ શર્મા ઉર્ફે શિવમ ઉર્ફે આરવ શર્માએ શાંતિલાલ વૈદ્યનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આવી રીતે તેમનુ મૃત્યુ નહીં થાય તેવી શંકા થતા તેણે શાંતીલાલનુ ગળુ ટેલીફોનના વાયરથી ભીંસી નાખી હત્યા કરી હતી. એ.ટી.એસ ગુજરાત દ્વારા પકડાયેલા આરોપીને વધુ પૂછપરછ માટે અમદાવાદ લાવી આગળની તપાસ અર્થે કલકતા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.