પોલીસ પર જીવલેણ હુમલો કરનાર આરોપીના જામીન રદ
લોકડાઉનના પાલન કરાવતા પોલીસની ફરજમાં રૃકાવટ કરી
બરબોધન ગામમાં નોનવેજની દુકાન પર લોકોની ભીડને લોકડાઉનનું પાલન કરાવવા જનાર પોલીસ પર હુમલો થયો હતો
સુરત,
તા.31 જુલાઈ 2020 શુક્રવાર
ઓલપાડ તાલુકાના બરબોધન ગામમાં લોકડાઉનનું પાલન કરાવવા જનાર પોલીસની ફરજમાં રૃકાવટ કરી ગેરકાયદે મંડળી રચીને જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપીની જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.
કોવિડ-19ના સંક્રમણને અટકાવવા સરકારે જારી કરેલા લોકડાઉન દરમિયાન ગઈ તા.13મી એપ્રિલના રોજ ઓલપાડ તાલુકાના બરબોધન ગામમાં આરોપી મુસા દાઉદ રાવતની નોનવેજની દુકાન પર લોકોની ભારે ભીડ હતી.જેથી લોકોના ટોળાને લોકડાઉનનું પાલન કરાવવા ગયેલા ઓલપાડ પોલીસ મથકના અ.હે.કો ઝવેર રાઘવ તથા અન્ય પોલીસ પર લોકાનો ટોળાએ ગેરકાયદે મંડળી રચીને તેમની ફરજમાં રૃકાવટ કરી હતી.આરોપી ઉમર ફારૃક ઈલ્યાસ બડે (રે.બાપુનગર,બરબોધન ગામ)સહિત 6 આરોપીઓ વિરુધ્ધ ઓલપાડ પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.
આ ગુનામાં જેલવાસ ભોગવતા મુખ્ય આરોપી ઉમર ફારૃક બડેએ કરેલી જામીનની માંગના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ફરીથી આ પ્રકારે સુલેહ શાંતિનો ભંગ કરે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢી હતી.