Gujarat

ધ્રાંગધ્રાના જીવા ગામના મંદિરમાં થયેલ ચોરીનો આરોપી ગામનો જ નીકળ્યો

By GS TEAM
12 Sep 20252 mins read
ધ્રાંગધ્રાના જીવા ગામના મંદિરમાં થયેલ ચોરીનો આરોપી ગામનો જ નીકળ્યો

એલસીબી પોલીસે ચોરીના દાગીના અને રોકડ સહિત રૃા.૪૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

રૃપિયાની જરૃરીયાત હોય મંદિરમાં ચોરીને આપ્યો અંજામ

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લામાં તસ્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મંદિરોમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે આવેલ મેલડી માતાજીના મંદિરમાં થોડા મહિના પહેલા તસ્કરો દ્વારા રોકડ અને ચાંદીના છતર સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો જે અંગે મંદિરમાં સેવાપુજા કરતા પુજારીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી જેમાં એલસીબી પોલીસે મંદિરમાં ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે થોડા મહિના પહેલા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો દ્વારા તાળુ તોડી મંદિરમાં રહેલ ચાંદીના નાના-મોટા છતર અને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો જે અંગે મંદિરમાં સેવાપુજા કરતા પુજારીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજા તેમજ પીએસઆઈ જે.વાય.પઠાણ, આર.એચ.ઝાલા સહિતનાઓએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી જેમાં બાતમીના આધારે જીવા ગામના મંદિરમાં ચોરી કરેલ મુદ્દામાલ લઈને તસ્કર તેને વેચવાની પેરવીમાં હોવાની હકિકતના આધારે વોચ ગોઠવી હતી જેમાં જીવા ગામના મંદિરમાં ચોરી કરનાર શખ્સ બલદેવગીરી મહાદેવગીરી ગોસાઈ રહે.જીવાવાળાને ચોરી કરેલ મુદ્દામાલ ચાંદીના નાના-મોટા છતર નંગ-૧૦ કિંમત રૃા. ૧૫,૦૦૦ તેમજ રોકડ રૃા.૨૫,૦૦૦ સહિત કુલ રૃા.૪૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ધ્રાંગધ્રા વિસ્તારમાંથી ઝડપીલીધો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે સોંપી કાર્યવાહી હાથધરી હતી.