વિસર્જનની પૂર્વ રાત્રે વડોદરાના આજવા રોડ પરથી તલવાર સાથે આરોપી ઝડપાયો
Vadodara Crime : વડોદરામાં આજે સાતમા દિવસે સંખ્યાબંધ શ્રીજીની મૂર્તિઓનો વિસર્જન થનાર છે તે દરમિયાન ગઈકાલે રાત્રે આજવા રોડ પરથી એક યુવક તલવાર સાથે ઝડપાઈ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ગણેશ ઉત્સવને શરૂઆત થતા પૂર્વે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આજે સાતમા દિવસે શહેરમાં અલગ અલગ સ્થળે બેસાડવામાં આવેલા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન અલગ અલગ તળાવમાં થશે. શહેરના અત્યંત સંવેદનશીલ એવા જૂનીગઢી વિસ્તારના ગણપતિ પણ પાણીગેટ માંડવી રોડ પરથી જ પસાર થવાના હોય ચાર દરવાજા વિસ્તારને પોલીસે કિલ્લે બંધી કરી દીધી છે. ગઈકાલ રાતથી જ પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને ઠેર-ઠેર ચેકિંગ હાથ ધર્યું છે. તે દરમિયાન આજવા રોડ પંચમ ચાર રસ્તા પાસેથી આરોપી જાવેદ ખાન ઉર્ફે માછો યુસુફ ખાન પઠાણ (રહે-મદીના મસ્જિદ કબ્રસ્તાન પાસે, એકતા નગર, આજવા રોડ) તલવાર સાથે મોડી રાતે પોણા એક વાગે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.