વેપારીઓ અને પથારાવાળા પાસેથી ખંડણી વસૂલતો આરોપી ઝડપાયો
નવાપુરા વિસ્તારમાં આતંક મચાવનાર ઇરફાન સામે ૩૬ ગુનાઓ નોંધાયા છે
વડોદરા, નવાપુરા વિસ્તારના વેપારીઓ અને ગરીબ પથારાવાળાઓને ધમકાવી ખંડણી ઉઘરાવતા માથાભારે ઈરફાન અને તેના બે સાગરીતોને નવાપુરા પોલીસે ઝડપી પાડી રોકડા ૧૫ હજાર રિકવર કર્યા છે. પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ પરેડ કરાવવામાં આવશે.
સિધ્ધનાથ રોડ સ્થિત ભાગ્યોદય કોમ્પ્લેક્સમાં કપડાં - વાસણનો વેપાર કરતા દિનેશભાઇ શાહની દુકાને ગત તા. ૩૦ મી એ તેમની દુકાને ઈરફાન ઉર્ફે રાજા પઠાણ (રહે. મુસ્લિમ મહોલ્લો, નવાપુરા) તેના બે સાગરીતો સાથે ઘસી આવ્યો હતો. તે અગાઉ મને જેલમાં ધકેલ્યો હતો હવે ખર્ચા પાણી માટે તારે મને ૫૦ હજાર આપવા પડશે. તેવું કહીને ઇરફાન એન તેના બે સાગરીતોએ કબાટમાંથી ૨૩ હજાર કાઢી લીધા હતા અને બાકીના રૃપિયા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અન્ય એક બનાવમાં લાલબાગ બ્રિજ નીચે ફૂલનો વેપાર કરતા ૬૦ વર્ષના શારદાબેન માળી પાસે રૃપિયાની માંગણી કરી હુમલો કર્યો હતો. આ ગુનામાં સામેલ આરોપી ઇરફાનઉર્ફે રાજા અજીજખાન પઠાણ તેમજ તેના બે સાગરીતો ઉદય સંતોષભાઇ સોનવણે (રહે. નારાયણ કોમ્પલેક્સ, નવાપુરા) તથા અજય ઉર્ફે બોડિયો કાલીદાસ ચુનારા (રહે. રબારીવાસ, નવાપુરા) ને પોલીસે ઝડપી પાડયા છે. માથાભારે ઇરફાન સામે વર્ષ ૨૦૦૮ થી અત્યારસુધી ૩૬ ગુનાઓ નોંધાયા છે. જેમાં રાયોટિંગ, મારામારી, પ્રોહિબીશન અને છેડતીનો સમાવેશ થાય છે.