Gujarat Accident News: અકસ્માતમાં મોત એ સૌથી કમકમાટી ઉપજાવનારૂં કરૂણ, આઘાત, શોકમય હોય છે. ગુજરાતમાં છેલ્લે ડિસેમ્બર-2025માં જાહેર 2024માં રોડ અકસ્માતોના વિશ્લેષણાત્મક અભ્યાસ અનુસાર 24 કલાકના દિવસમાં સૌથી વધુ જીવલેણ અકસ્માતો, શહેરો અને ગ્રામ્ય વિસ્તારો બન્નેમાં સૂર્યાસ્ત આસપાસના સમય એટલે કે સાંજના 6થી 9 દરમિયાન થાય છે અને આ સમયમાં સૌથી વધુ જિંદગીનો સૂરજ અકાળે અસ્ત થાય છે. આ જ તારણ ઈ.સ. 2023ના અકસ્માતોમાં પણ નીકળ્યું હતું.
રાજ્યમાં સાંજના ત્રણ કલાકના સમયમાં કૂલ 1829ના મૃત્યુ થયા
ગત વર્ષમાં ગુજરાતમાં સાંજે 6થી 9 દરમિયાન શહેરી વિસ્તારોમાં કૂલ 1226 અકસ્માતોમાં જીવલેણ અકસ્માતો 452 થયા હતા. જેમાં 475ના મૃત્યુ નીપજ્યા હતા. આ સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં કૂલ 2257 પૈકી 1258 જીવલેણ અકસ્માતો થયા જેમાં 1354ના મૃત્યુ નીપજ્યા હતા. આમ રાજ્યમાં સાંજના ત્રણ કલાકના સમયમાં કૂલ 1829ના મૃત્યુ થયા છે જે ચોવીસ કલાકના વર્ષના કૂલ મૃત્યુ 7717ની સાપેક્ષે 23.70 ટકા છે.

આ પહેલાના વર્ષ 2023માં પણ આ જ સમયે સાંજે છથી નવ સૌથી વધુ જીવલેણ અકસ્માતો શહેરમાં 451 થયા જેમાં 473ના મૃત્યુ અને ગ્રામ્યમાં 1196 ફેટલ અકસ્માતોમાં 1299ના મૃત્યુ થયા હતા. બીજા નંબરે સૌથી વધુ પ્રાણઘાતક અકસ્માતો શહેરમાં સવારે 9થી 12 દરમિયાન અને ગ્રામ્ય વિસ્તારમાં બપોરે 3થી 6 દરમિયાન નોંધાયા હતા. જ્યારે સૌથી ઓછા અકસ્માતો વહેલી સવારે 6થી 8 અને રાત્રિના 12થી 6 દરમિયાન નોંધાયા છે.


