અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ એરપોર્ટ ખસેડતી વખતે અકસ્માત, વિમાનની ટેલ ઝાડમાં ફસાઈ
Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. DGCA ની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી વિમાનનો કાટમાળ એરપોર્ટ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઝાડ સાથે અથડાતા ટ્રક અટકી ગઈ હતી. આ ઘટના એસીબીની કચેરી નજીક બની હતી. વિમાનનો કાટમાળ એક ટ્રક પર લઈ જવામાં આવી રહ્યો હતો. જોકે અકસ્માતને પગલે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો ઠપ થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે એક સાઈડનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
DGCAની ટીમ કરી રહી છે કામગીરી
DGCA ની ટીમ કાટમાળ ખસેડી રહી છે. ક્રેશ સાઇટથી ખસેડી તે એરપોર્ટ ખાતે એક ખાસ સ્થળે મૂકવામાં આવી રહ્યો છે. વિમાન ક્રેશના કારણોની તપાસ સુધી DGCA પાસે જ રહેશે. એરપોર્ટ ખાતે વિમાનને રાખવા ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે. સ્થાનિક એજન્સીઓ, પોલીસ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય રહી મદદ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
12 જૂને તૂટી પડ્યું હતું વિમાન
ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું 787 વિમાન ઉડાન ભરતાની સાથે જ બે મિનિટમાં જ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત 270 થી વધુ લોકો મૃત્યુ પામી ગયા હતા. જેમાં ફક્ત એક જ મુસાફરનો જીવ બચી શક્યો હતો. આ ભયાનક વિમાન દુર્ઘટનાના પડઘા સમગ્ર જગતમાં પડ્યા હતા.