ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક મહિલા સહિત 5ના મોત
Accident on Dholera Bhavnagar Highway: ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. દરરોજ એક-બે નાના-મોટા અકસ્માત નોંધાઈ રહ્યા છે. ત્યારે ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ 5 લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોલેરા-ભાવનગર હાઇવે પર કીયા અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોની ઓળખ કરાઇ
ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
તીર્થ ગૌરવભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી (પાલીતાણા)
મૃતકો મૂળ મહુવા અને પાલીતાણાના
પ્રાથમિક માહિતી અનુસાર સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કીયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલીતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.