Gujarat

એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા

By GS TEAM
3 Jun 20262 mins read
એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના પ્રવેશ અંગે રજૂઆત કરવા માટે ગયેલા એબીવીપીના કાર્યકરોએ ફેકલ્ટી ડીન પર હુમલો કર્યા બાદ અધ્યાપકો અને કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.બે કલાક સુધી કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઈ જતા પ્રવેશ લેવા માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે આક્ષેપ કર્યો હતો કે, બે કલાક સુધી એબીવીપીના કાર્યકરોની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી હતી.એ પછી મારે યુનિવર્સિટીની એક બેઠકમાં જવાનું હતું.આમ છતા એક કાર્યકરે મને ઓફિસમાં જ રોકવાનો પ્રયાસ કર્યો હતો.મેં જ્યારે તેને રસ્તામાંથી હટવા કહ્યું ત્યારે તેણે મારા પર હુમલો કર્યો હતો.આ જોઈને  ફેકલ્ટીના અધ્યાપકો અને કર્મચારીઓ રોષે ભરાયા હતા અને તેમણે એબીવીપીના કાર્યકરોને ફટકારીને વળતો જવાબ આપ્યો હતો.એબીવીપીની ગુંડાગર્દીના  વિરોધમાં આવતીકાલ, ગુરુવારથી ફેકલ્ટીના અધ્યાપકો અને કર્મચારીઓ કાળા કપડા પહેરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું કામ કરશે 

ઉલ્લેખનીય છે કે, પ્રવેશ પરીક્ષા આપ્યા પછી પણ ગેરહાજર દર્શાવાયેલા વિદ્યાર્થીઓના મુદ્દે એબીવીપીના કાર્યકરો રજૂઆત કરવા ગયા હતા.જોકે એ પછી મારામારી શરુ થઈ ગઈ હતી અને છેવટે પોલીસની એન્ટ્રી પડી હતી.આ દરમિયાન ફેકલ્ટીમાં ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહી પણ ખોરવાઈ ગઈ હતી. એબીવીપી- એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે પણ મારામારી કોમર્સ ફેકલ્ટીમાં અધ્યાપકો સાથે એબીવીપીની મારામારી થયા બાદ ફેકલ્ટીની બહાર પણ એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકોર કોઈ કારણસર આમને સામને આવી ગયા હતા અને બંને સંગઠનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.પોલીસને પણ આ કાર્યકરોને છુટા પાડવા માટે બળપ્રયોગ કરવો પડયો હતો.સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

વિદ્યાર્થી સંગઠનોને હવે જાતે પાઠ ભણાવીશુંઃ ફેકલ્ટી ડીન 

કોમર્સના ડીને કહ્યું હતું કે, હવે પછી કોઈ પણ વિદ્યાર્થી સંગઠનના કહેવાતા નેતાઓ  ફેકલ્ટીમાં ગુંડાગર્દી કરશે તો અધ્યાપકો અને કર્મચારીઓ તેમને પાઠ ભણાવશે.અમને પોલીસની જરુર નથી.અધ્યાપકોએ નક્કી કર્યું છે કે, દાદાગીરીને સહન નહીં કરાય.ફેકલ્ટીમાં કેટલાય કહેવાતા વિદ્યાર્થી નેતાઓ પ્રવેશ અપાવવાના નામે પૈસા પડાવવા માટે ફરી રહ્યા છે.તેમને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે.