વડોદરામાં AAPનો હોબાળો: ખાડા અને ભ્રષ્ટાચાર મુદ્દે મેયર ઓફિસ પર દેખાવો, નેમપ્લેટ તોડી નાખી
Baroda News : વડોદરા શહેર ચોમાસાના પ્રારંભે જ 'ખાડોદરા' બની ગયું હોવાનો આક્રોશ વ્યક્ત કરતા આજે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. મુખ્ય રસ્તાઓ પર ઠેર-ઠેર પડેલા ખાડા, વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં થયેલો કથિત ભ્રષ્ટાચાર અને હોડી હોનારતના આરોપીઓને સજા ન મળવા જેવા મુદ્દે AAP કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શન બાદ નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યકર્તાઓની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ 30થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવાની હોવાથી પોલીસને વાહનોની અછતનો સામનો કરવો પડ્યો.
મેયર ગેરહાજર હોવાથી કાર્યકરો ઉશ્કેરાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, AAPના કાર્યકર્તાઓ આજે મેયર ઓફિસ ખાતે આવેદનપત્ર સુપ્રત કરવા પહોંચ્યા હતા. જોકે, મેયરની ગેરહાજરી જોતા તેઓ ઉશ્કેરાયા હતા અને ઓફિસ બહાર જ ધાંધલ-ધમાલ મચાવી હતી. આ દરમિયાન, મેયરના નામની નેમપ્લેટ તોડીને ફેંકી દેવામાં આવતા મામલો વધુ બિચક્યો હતો.
કોર્પોરેશનનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ધાંધલ-ધમાલ કરતા AAP કાર્યકર્તાઓને મેયર ઓફિસની બહાર નીકળી જવા સૂચના આપી હતી. ત્યારબાદ, કાર્યકર્તાઓ કોર્પોરેશનના પાર્કિંગમાં આવેલા એક વૃક્ષ નીચે બેસી ગયા હતા અને ધરણા શરૂ કર્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.
AAP કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે, ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હોવા છતાં, તેના પરના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે સમસ્યા યથાવત છે. આ ઉપરાંત, હોડી હોનારત જેવી ગંભીર ઘટનામાં પણ જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી થઈ નથી. આ તમામ મુદ્દાઓ પર વહીવટી તંત્રની નિષ્ફળતા સામે AAPએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે વડોદરાના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.
AAP કાર્યકરોની અટકાયત: પોલીસને વાહનો ખૂટ્યા, પરસેવો છૂટ્યો
વડોદરા મનપા કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શન બાદ નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે કાર્યકર્તાઓની અટકાયત કરવાનું શરૂ કર્યું.
જોકે, AAP કાર્યકર્તાઓની સંખ્યા ધારણા કરતાં ઘણી વધારે હોવાથી પોલીસને આશ્ચર્ય થયું હતું. 30થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવાની હોવાથી પોલીસને વાહનોની અછતનો સામનો કરવો પડ્યો. સ્થિતિ એવી સર્જાઈ કે અટકાયતીઓને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસના વાહનોને એક પછી એક અનેક ફેરા મારવાની નોબત આવી હતી. આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને લઈ જવામાં પોલીસને રીતસરનો પરસેવો છૂટી ગયો હતો, અને વાહનો ખૂટી પડતા અટકાયત પ્રક્રિયામાં દોડધામ મચી હતી. મહિલા પોલીસકર્મીઓને પણ આ પરિસ્થિતિને સંભાળવામાં દોડધામ કરવી પડી હતી. આ ઘટનાએ પોલીસ તંત્રને પણ અચાનક ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે પડકાર આપ્યો હતો.