આખલોલ જકાતનાકા પાસે યુવાન પર છરીના ઘા ઝીંકાયો
- કોઈપણ કારણ વગર શખ્સે યુવાન પર હુમલો કર્યો
- ખુલ્લી જગ્યામા 3 મિત્રો જમવા બેઠા હતા ત્યારે ધસી આવેલાં શખ્સે યુવાનને લાફો માર્યો : યુવાન ગંભીર
શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ ભોળાનાથ મંદિર નજીક રહેતા પ્રતિકભાઇ પુનાભાઈ રાઠોડ તેના મિત્ર રોહિત મકવાણા અને તેના ભાઈ ઈશ્વરભાઈ આખલોલ જકાતનાકા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જમવા બેઠા હતા તે દરમિયાન વસીમ નામનો શખ્સ ધસી આવ્યો હતો અને કોઈપણ જાતના કારણ વગર પ્રતિકભાઇ ને લાફો ઝીંકી ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ ત્રણેય મિત્રો રોડ પર આવેલ ભોળાભાઈની હોટલ પાસે ઉભા હતા તેવામાં વસીમ ત્યાં બેઠો હતો ત્યારે ઈશ્વરભાઈએ વસીમને લાફો મારવાનું કારણ પુછતાં બન્ને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. દરમિયાનમાં વસીમે ગાડીમાંથી છરી કાઢી પ્રતિકભાઇને છાતીના ભાગે એક ઘા મારી લોહિયાળ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પ્રતિકભાઈએ વસીમ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ છરી વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, આ હુમલામાં ઈજા પામેલાં યુવાનની સ્થિતિ ગંભીર મનાય રહી છે.