Surat news : સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા એક યુવકે પોલીસ સ્ટેશનની જ ઈમારતના ત્રીજાા માળે ચઢી જઈ ત્યાંથી ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું.
પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો
મળતી માહિતી અનુસાર ત્રીજા માળેથી ઝંપલાવી ચૂકેલા યુવકે કેમ આ પગલું ભર્યું તેને લઈને હજુ રહસ્ય ઘેરાયેલું જ છે. તેનો મૃતદેહ સીધો પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો હતો. નીચે પટકાવાને કારણે તેનું માથું ફાટી ગયું હતું અને તે ગંભીર ઈજાઓ થતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો.
પોલીસની કામગીરી પર સવાલ
પ્રાથમિક માહિતી મુજબ, આપઘાત કરનાર યુવકની ઉંમર અંદાજે 35થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસ સ્ટેશનમાં તે કોઈ ફરિયાદ અથવા રજૂઆત કરવા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જોકે, ત્યારબાદ અચાનક શું થયું અને યુવક ટેરેસ પર પહોંચી ત્યાંથી પડતું મૂક્યું હતું.
આ પણ વાંચોઃ જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક 'નકલી પોલીસ' ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. જોકે, પોલીસ કંઇક કરે તે પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા આ આપઘાત બાદ લિંબાયત પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેમાં પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર પહોંચ્યો કેવી રીતે તેને લઈને પોલીસ પાસેથી જવાબ માંગવામાં આવી રહ્યા છે.
તપાસનો ધમધમાટ
જોકે, હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એસપી, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન સુધી દોડી આવ્યા હતા. જોકે, યુવકે આ પગલું કેમ ભર્યું તેની કોઈ નક્કર માહિતી સામે આવી નથી. હાલ યુવકની ઓળખ કરી તેના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવાર સાથે પૂછપરછ બાદ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.


