નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો

- યુવાનને માનસિક બીમારીની દવા ચાલતી હતી
- આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ગમગીની, પોલીસે વધુ તપાસ હાથ ધરી
નડિયાદ : નડિયાદ શહેરમાં એક યુવકે માનસિક બીમારીથી પરેશાન થઈને અને બીએસએનએલનું બિલ ન ભરાતા નાણાકીય તકલીફથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં યુવકના પિતાએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મંગલમ્ ટાઉનશીપમાં રહેતા મહેશભાઈ દયાળભાઈ પટેલે તેમના પુત્ર સંદીપભાઈ પટેલના આત્મહત્યાના મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૪થી ૫ વર્ષથી સંદીપભાઈને માનસિક બીમારી રહેતી હતી, જેની દવા ચાલતી હતી. આ બીમારીના કારણે તેઓ ઘણા સમયથી નોકરી પણ કરી શકતા નહોતા. સાથે જ, બીએસએનએલ બીએસએનએલનું રૂ. ૩૦,૦૦૦નું બિલ પણ બાકી હતું. માનસિક બીમારી અને નાણાકીય તકલીફથી કંટાળીને સંદીપભાઈએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.









