For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૈસા કમાવવાની લાલચે મ્યાનમાર ગયેલો તલાલાનો યુવક યાતનાઓ વેઠી વતન પરત ફર્યો

વધુ પગારની નોકરીની લાલચ આપી દુબઇનો એક એજન્ટ તેને મ્યાનમાર લઇ ગયો

Updated: Feb 20th, 2023

પૈસા કમાવવાની લાલચે મ્યાનમાર ગયેલો તલાલાનો યુવક યાતનાઓ વેઠી વતન પરત ફર્યો

અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2023 સોમવાર

વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર ખાતે એક ઓરડામાં ગોંધી રાખવામાં આવેલા તાલાલા-ગુજરાતના આશાસ્પદ યુવાનને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી અને ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સહી સલામત ભારત પહોંચાડી ગીર સોમનાથ પોલીસે પરીવાર સાથે મીલન કરાવ્યુ છે. તલાલાથી દુબઇ પહોંચેલા નીરવને વધુ પગારની નોકરીની લાલચ આપી દુબઇનો એક એજન્ટ મ્યાનમાર લઇ ગયો હતો. આ કંપની ફ્રોડ હોવાનું ધ્યાને આવતા નીરવે આ નોકરી છોડી ભારત પરત જવાનુ કહી દેતા કંપની સંચાલકોએ નીરવ તેમજ તેની સાથે ગયેલા અન્ય ૭ મળી કુલ ૮ યુવાનોને મ્યાનમારના યાંગોન સીટી ખાતે એક ઓરડામા ગોંધી રાખ્યા હતા. પોલીસને માહિતી મળતા ગોંધી રખાયેલા યુવાનને વિદેશથી છોડાવી આ સફળ ઓપરેશન પાર પાડ્યુ છે. 

દુબઇના એક એજન્ટે તેને વધુ પૈસાની લાલચ આપી
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા ખાતે પીપળવા ગામમાં રહેતા જગમાલભાઇ કરશનભાઇ બામરોટીયાએ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પુત્ર સાથે બનેલી ઘટનાની માહિતી આપી હતી. તા.૧૪મી સપ્ટેમ્બર-૨૦૨૨ના રોજ તેમનો ૨૦ વર્ષિય પુત્ર નીરવ બામરોટીયા એક એજન્ટ મારફતે દુબઇ ખાતે ખાનગી કંપનીમા નોકરી માટે ગયો હતો. ત્રણ માસ સુધી ત્યા નોકરી કરી ત્યાર બાદ વધુ પગાર આપવાની લાલચ આપી દુબઇના એક એજન્ટે તેને થાઇલેન્ડ ખાતે નોકરી પર જવાનુ કહી મ્યાનમારના વિઝા બનાવી આપ્યા હતા. તા ૧૨મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતે નીરવને મોકલી દેવામાં આવ્યો હતો. 

ફોનથી ખાનગીમાં પિતાને જાણ કરી હતી
મ્યાનમાર ખાતેની આ ખાનગી કંપની FENGQINGYANG COMPANY LIMITED ફ્રોડ કરતી હોવાનું નીરવને ધ્યાને આવતા તેણે આ નોકરી કરવાની ના પાડી દીધી હતી. એટલુ જ નહિ,  ભારત પરત જવાનુ કંપનીના સંચાલકને જણાવતા કંપની સંચાલકોએ નીરવને તેમજ તેની સાથે ગયેલા અન્ય યુવાનોને પણ ત્યા મ્યાનમાર દેશના યાંગોન (YANGON) સીટી ખાતે એક ઓરડામા ગોંધી રાખ્યા હતા. નીરવ સાથે ગોંધી રાખવામાં આવેલા અન્ય યુવાનોમાં ચાર ઉત્તરપ્રદેશના અને ત્રણ ઇન્ડોનેશિયાના યુવાનોનો સમાવેશ થાય છે. નીરવે ખાનગી રીતે ફોન મારફતે આ સમગ્ર બાબતની જાણ તેના પિતાને કરી દીધી અને નીરવના પિતા જગમાલભાઇએ તાલાલા પોલીસને આ સમગ્ર ઘટના સંદર્ભે જાણ કરી હતી. 

ગુજરાતના યુવાનને તાત્કાલિક છોડાવવા આદેશ
આ ઘટનાની જાણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને થતા આ બાબતને ગંભીરતાથી લઇ વિદેશમાં ગોંધી રાખવામાં આવેલા ગુજરાતના યુવાનને તાત્કાલિક છોડાવી ગુજરાત પરત લાવવા અને પરિવારજનો સાથે ભેટો કરાવવા પોલીસને સુચના આપી હતી. જુનાગઢ રેન્જ આઇ.જી.પી મયંકસિંહ ચાવડા તથા ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.એચ.મારૂ તથા તેમની ટીમે સઘન તપાસ શરૂ કરી દીધી હતી. તેમણે પોલીસ અધીક્ષકની રાહબરી હેઠળ આ બાબતે ભારત સરકારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ તેમજ મ્યાનમારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ સાથે સતત સંપર્કમા રહી સમગ્ર બનાવ બાબતેની જાણ કરી હતી. 

મ્યાંનમારના યોંગોન સિટીથી ભારત આવ્યો
આ બનાવ બાબતે મ્યાનમાર ખાતે ફસાયેલા નીરવનો સંપુર્ણ બાયોડેટા તથા તેમના વિઝા અંગેની તથા પાસપોર્ટ અંગેની તેમજ તેમના મ્યાનમાર ખાતેના યાંગોન સીટીના લોકેશન બાબતેની સંપુર્ણ માહિતી ભારત સરકારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટને કરી મ્યાનમાર ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટની મદદથી મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતે ગોંધી રાખેલ નીરવ તેમજ તેની સાથે ફસાયેલ અન્ય લોકોને ત્યાની એજન્સીઓ દ્રારા સહી સલામત સ્થળે લાવવામા આવ્યા છે. ગઇ કાલે તા. ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ નીરવ જગમાલભાઇ બામરોટીયાને મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતેથી ભારતમાં લાવવા માટે ફ્લાઇટ દ્રારા કલકતા અને ત્યાથી અમદાવાદ અને પોતાના ગામ સુધી સહી સલામત લાવવામા આવ્યા છે.


Gujarat