Gujarat

ગામના બે ભાઈઓના ત્રાસથી કંટાળીને રાજસ્થાનના યુવાને આપઘાત કરી લીધો

By GS TEAM
11 Nov 20252 mins read
ગામના બે ભાઈઓના ત્રાસથી કંટાળીને રાજસ્થાનના યુવાને આપઘાત કરી લીધો

કલોલના જાસપુર ખાતે આવેલી પીજી હોસ્ટેલમાં

અગાઉ નાના ભાઈએ પણ આરોપી બે ભાઈના ત્રાસથી ફાંસો ખાધો હતો ઃ સાંતેજ પોલીસે ગુનો દાખલ કર્યોે

ગાંધીનગર :  કલોલના જાસપુર ખાતે આવેલી પી જી હોસ્ટેલમાં ગત રવિવારના રાતના સમયે રાજસ્થાનના યુવાને ગળે ફાંસો ખાઈ આઘાત કરી લીધો હતો. જે પહેલા તેણે વિડીયો બનાવીને તેના જ ગામના બે ભાઈઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનું જણાવતા સાતેજ પોલીસ દ્વારા આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના ધોલપુર જિલ્લાના સાગરપાડા ગામમાં રહેતા રાજવીર કાલીચરણ સાગર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના ગામમાં રહેતા લોકેશ રમેશ લોહ અને તેના ભાઈ નેમીચંદ્ર રમેશ લોહ દ્વારા ત્રાસ આપવામાં આવતા તેમના દીકરા રૃપેન્દ્રએ ત્રણ મહિના પહેલા સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે લોકેશ અને વિવેક સોલંકી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ હાલ ચાલે છે ત્યારે આ બંને આરોપીઓ મોટા દીકરા લોકેન્દ્રને પરેશાન કરતા હોવાથી, તેને ગુજરાતના કલોલ તાલુકાના જાસપુર ખાતે નોકરી માટે મોકલ્યો હતો. લોકેન્દ્ર ગુજરાતમાં હોવા છતાં, નેમીચંદ્ર રમેશ લોહના ઘરમાં ચોરી થઈ હોવાની ખોટી ફરિયાદ લોકેન્દ્રના નામથી કોતવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. જેના પગલે ગત રવિવારના રોજ જાસપુર ખાતે આવેલી તેની હોસ્ટેલમાં લોકેન્દ્રએ તેના મોબાઇલમાં એક વિડીયો બનાવ્યો હતો અને લોકેશ તેમજ નેમીચંદ્રના ત્રાસના કારણે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કરીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ ફરિયાદના આધારે હાલ સાતેજ પોલીસ દ્વારા રાજસ્થાનના આ બંને ભાઈઓ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.