માતરના દલોલી પાસે ઈસરવાડાના યુવકની પત્નીના પ્રેમીએ હત્યા કરી
- કેનાલ પાસેથી શુક્રવારે મોડી રાતે મૃતદેહ મળ્યો હતો
- પત્નીને તેડવા ગયેલો યુવક સાસરીમાંથી ગુમ થયો હતો : મહિના પહેલાં જ યુવકના લગ્ન થયા હતા
ઈસરવાડાના મૂળ વતની અને મહેમદાવાદ તાલુકાના સાણસોલીના રહેવાસી મનુભાઈ ખોડાભાઈ રાઠોડના પુત્ર સંજયના લગ્ન તા.૨૪/૦૪/૨૫ના રોજ માતર તાલુકાના દલોલી મુકામે રહેતી યુવતી સાથે થયા હતા. ગતરોજ સવારે પુત્ર સંજય દલોલી સાસરીમાં પત્નીને લેવા માટે સણસોલીથી દલોલી જવા માટે નીકળ્યો હતો. બાદમાં બપોરે અગિયારેક વાગ્યાના અરસામાં જાણ થઈ હતી કે સાસરીમાં આવ્યા પછી સંજય મળતો નથી. દલોલી સાસરીમાં આવ્યા પછી ક્યાં ગુમ થઈ ગયો તેની ખબર પડી નહીં જેથી શોધખોળ શરૂ કરતાં મોડી રાત પડી ગઈ હતી. શોધખોળ કરતા તારાપુરના ઇસરવાડાથી દલોલી રોડ પર આવેલી કેનાલ પાસેના રોડની ધાર પર બાઇક પડેલું દેખાતા, તપાસ કરતા બાઇક સંજયનું હોવાનું જણાયું હતું. આજુબાજુ તપાસ કરતા કેનાલની બાજુની ઝાડીઓમાંથી મોડી રાત્રે સંજયનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતા તારાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પત્નીને દલોલી ગામમાં જ રહેતા જયેશ ઉર્ફે લાલો સુરેશભાઈ ઝાલા- મકવાણા સાથે પ્રેમ સંબંધ હતો. જેથી પત્નીના પ્રેમી જયેશે દીકરા સંજયને ઈસરવાડા- કાનાવાડા રોડ પર આવેલી કેનાલ નજીક બોલાવી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી લાશને ઝાડી- ઝાંખરામાં ફેંકી દીધી હતી.
આ અંગે મૃતક સંજયના પિતા મનુભાઈ ખોડાભાઈ રાઠોડની ફરિયાદના આધારે તારાપુર પોલીસે જયેશ ઉર્ફે લાલો સુરેશભાઈ ઝાલા મકવાણા રહે.દલોલી, તા. માતરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.