VIDEO: 'મારા ભાઈનું મોઢું જોવા દો...', સિવિલ હૉસ્પિટલ બહાર યુવકનું હૈયાફાટ રુદન, ચાની કીટલી ચલાવતા હતા
Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 265 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. જેમાં પ્લેનમાં સવાર અને બિલ્ડિંગમાં હાજર ઉપરાંત આસપાસ રહેતા લોકોના મોત થયા છે. જેમાં ઘોડા કેમ્પ પાસે ચાની કિટલી ચલાવતાં સીતાબહેનના પુત્ર 14 વર્ષીય આકાશનું મૃત્યુ થયું છે. ત્યારે સિવિલ હૉસ્પિટલ બહાર મૃતકના મોટા ભાઈએ જણાવ્યું હતું કે, મને મારા ભાઈને મળવા દેતા નથી. મારા ભાઈનું મોઢું જોવા દો...'
મૃતક આકાશના પરિવારનું હૈયાફાટ રુદન
મળતી માહિતી અનુસાર, ઘોડા કેમ્પમાં રહેતા અને ચાની લારી ચલાવતા સીતાબહેન પટણીના 14 વર્ષીય પુત્ર આકાશનું વિમાન દુર્ઘટનમાં મૃત્યુ થયું છે. આકાશ પટણી ઘરમાં સૂતો હતો ત્યારે જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. મૃતક આકાશનો પરિવાર સિવિલ હૉસ્પિટલની બહાર જ બેસીને હૈયાફાટ રુદન કરી રહ્યો છે.
આ કરુણ ઘટના અંગે મૃતકના મોટા ભાઈએ જણાવ્યું હતું કે, 'મારી લારી SRP કેમ્પની બાજુમાં હતી. મારા મોટા ભાઈનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે વિમાન દુર્ઘટનામાં નાના ભાઈ આકાશનું મૃત્યુ થયું છે. જ્યારે મારી મમ્મી તેને બચાવવા ગઈ ત્યારે તે પણ આગની ઝપેટમાં આવી હતી. સિવિલ હૉસ્પિટલવાળા મારા ભાઈને મળવા દેતા નથી. મારા ભાઈનું મોઢું જોવા દો. મમ્મીને સારું છે. મારા ભાઈને એકવાર જોવા દો…'
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, રહસ્યો ખુલશે
વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. જે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન હતું. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 265 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે.