જર્જરિત મકાનની છત તૂટી પડવાના બનાવમાં એક મહિલાનું સારવારમાં મોત
- લીંબડીના ગ્રીન ચોક પાસેની જુની સોસાયટીનો બનાવ
- ગોઝારી ઘટનામાં બે મહિલાને ઇજા પહોંચી હતી : ચોમાસા પહેલા જર્જરિત ઇમારતની ઓળખ કરી માલિકને નોટિસ પાઠવવા માંગ
લીંબડી : લીંબડી છાલીયાપરા વિસ્તારમાં ગ્રીનચોક પાસે આવેલી જુની સોસાયટીમાં જર્જરીત મકાનના દરવાજાની છત ટુટી પડતાં બે મહિલાઓને ઈજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ગત તા.૪ જુનના રોજ જુની સોસાયટીમાં રહેતાં અરવિંદભાઈ ઇશ્વરભાઈ પટેલના રહેણાંક મકાનના દરવાજા નીચે તેમના પત્ની નીરૂબેન પટેલ તથાં બાજુમાં રહેતાં પાડોશી દિપીકાબેન મિસ્ત્રી તથાં અરૂણાબેન મિસ્ત્રી બેઠા હતાં. તે સમયે એકાએક દરવાજા ઉપરની જર્જરીત છત ટુટી પડતાં દિપીકાબેન તથા અરૂણાબેન બંને મહિલાઓ ને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ બંનેને વધુ ગંભીર ઈજાઓ હોવાને કારણે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અરૂણાબેન નરેન્દ્રભાઈ સાવજડીયાનું સારવાર દરમિયાન બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. જ્યારે અરૂણાબેનના મુત્યુના સમાચાર સાંભળતાં પરિવાર જનોમા શોકનું મોજું ફરી વળ્યું હતું. અને આ દુર્ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હજુ ચોમાસાની શરૂઆત થઈ નથી તે પહેલાં લીંબડીમાં જર્જરીત મકાનની છત ટુટી પડી હતી. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે શહેરમાં વિવિધ વિસ્તારોમાં જર્જરીત મકાન હોય તેવા મકાન માલિકોને નોટિસ આપીને કામગીરી હાથ ધરવામાં આવે તો આવનાર સમયમાં કોઈ અનીછનીય દુર્ઘટના ના સર્જાય.