જેતપુર ગત તા.10મીએ મળેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો
પોલીસે ઈન્વેસ્ટિગેશનમાં વિધવાનો ફોટો સુરત રહેતા ભાઈને મોકલતા ઓળખી બતાવી ફરિયાદ નોંધાવી
જેતપુર: અહી રબારિકા રોડ પર ડાઈંગના કારખાનામાં ઓરડીમાં પુનર્લગ્ન વગર રીલેશનશીપમાં રહેતી વિધવાની સાથે બોલાચાલી થયા બાદ પુરૂષ મિત્રે ગળાટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ લાશને કારખાનાની દીવાલ પાસે ફેંકી દેવાતા પોલીસને આ લાશ મળી આવી હતી જેનો ભેદ ત્રણ દિવસ બાદ ઉકેલાઈ ગયો છે.
રબારિકા રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં સગુણા પ્રિન્ટ નામના ડાઈંગ કારખાનામાં કામ કરતા ગજાધરસિંહ ઉર્ફે મામુ નામના શખ્સે લગ્ન વગર પત્ની તરીકે રહેતી અનિતાબેન રાઠોડ નામની ચાલીસ વર્ષીય મહિલાની હત્યા કર્યાનું બહાર આવ્યું છે. કારખાનાના માલિક અને શ્રમિકોના કહેવા મુજબ અનિતાબેન અને ગજાધરસિંહ તાજેતરમાં જ કામે આવ્યા હતા. તેમને રહેવા માટે ઓરડી આપવામાં આવી હતી. કારખાનામાં અન્ય મજૂરો તેમને મામા મામી કહીને બોલાવતા હતા. ગત તા. ૧૦ ના રોજ અનિતાબેન દેખાયા ન હોવાથી ગજાધરસિંહને પૂછતા તેણે ગોળ ગોળ જવાબો આપ્યા હતાં .જો કે પોલીસ તપાસમાં કારખાનાની દીવાલ પાછળ આવેલી ખુલ્લી ઓરડીમાંથી લાશ મળી આવી હતી. પોલીસ આવતા જ ગજાધર ભાગી ગયો હતો. જેને પકડવા જુદી જુદી ટીમો બનાવી દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યુ હતુંકે છેલ્લા ચારવર્ષથી રહેતા આ યુગલ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. હત્યાના બનાવની રાતે પણ ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પુરૂષ મિત્રે અનિતાને ગળાટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ બાબતમાં સુરત રહેતા મહિલાના ભાઈ જયેશભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. વિશેષમાં તેની બહેન અનિતાના પતિના અવસાન બાદ તે ગજાધરસિંહ સાથે રહેતી હતી. ગત તા. ૧૧મીએ પોલીસે અનિતાનો ફોટો મોકલી શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યાનું જણાવ્યું હતું. આથી સુરતથી દોડી આવેલા જયેશભાઈએ લાશને ઓળખી દીધી હતી.


