Gujarat

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ

By GS TEAM
19 Mar 20262 mins read
ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ

ભાઇના સાળા સાથે નવું જીવન શરૂ કરવું હતું : દીકરીની સારવારમાં રૂા. 8-9 લાખ ખર્ચ થતા સબંધીઓ પાસે ઉછીના લીધા હતા 

સુરત: દારૂડીયા પતિનું લીવર ફેઈલ થતા આઠ મહિના પહેલા અવસાન થયા બાદ દીકરીની સારવારમાં રૂ.૮ થી ૯ લાખનો ખર્ચ થતા નણંદ અને અન્ય સંબંધીઓ પાસે લીધેલા ઉછીના લીધેલા પૈસાનું દેવું ચૂકતે કરવા અને ભાઈના સાળા સાથે નવી જીંદગી શરૂ કરવા માટે ભૂતકાળને ભૂંસવા ઓડિશાથી ગાંજો લઈ પરત ફરેલી ૩૨ વર્ષીય વિધવાને ચોકબજાર પોલીસે રૂ.૪.૧૦ લાખની મત્તાના 8.210 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી હતી. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ કમલેશભાઇ, મહાવિરસિંહ ભીમજીભાઇ અને સંજયસિંહ કરશનભાઇને મળેલી બાતમીના આધારે ચોકબજારત પીઆઇ એન.જી.ચૌધરી, મહિધરપુરા પોલીસ મથકના મહિલા પીઆઇ યુ.જે.જોષી અને ચોકબજાર પોલીસના સ્ટાફે વેડરોડ ભરીમાતા રોડ ફૂલવાડી ઝુપડપટ્ટી ઘર નં.૨૦ ના ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં રેઇડ કરી ત્યાંથી ૩૨ વર્ષીય વિધવા ઇજાઇના કાસમ સંધવાની (મુળ રહે.સંધવાની વાસ, માળીયા બસ સ્ટેશનની પાસે, તા.માળીયા મીયાણા, જી.મોરબી) ને રૂ.૪,૧૦,૫૦૦ ની મત્તાના ૮.૨૧૦ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી, મોબાઈલ ફોન અને ગાંજો મળી કુલ રૂ.૪,૨૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઇજાઇનાનો દારૂડીયો પતિ લીવર ફેઇલ થતા આઠ મહિના પહેલા મૃત્યુ પામ્યો હતો. સિલાઇકામ કરી એક બાળાનું ભરણપોષણ કરતી હતી. પણ બાળાને વેન્ટિલેટર પર સારવાર દરમિયાન રૂા.૮-૯ લાખનો ખર્ચ થતા નણંદ સહિત સબંધીઓ પાસે ઉછીના લીધે પૈસા ચૂકતે કરવા ગાંજો ઓડિશાથી લાવી હતી. પંડોળમાં ચ્હાની લારી પર આવતા એક વ્યક્તિએ પૈસાની જરૂર હોવાનું જાણીને ગાંજો લાવવાની સલાહ આપી એક નંબર આપતા તેના પર વાત કરી તે એકલી ટ્રેનમાં ઓડિશા ગઇ હતી.  તેણે સાદી ટિકિટ લીધી હતી અને સ્લીપર કોચમાં ચઢી જતા ટીટીએ પકડી ત્યારે કામ અટકે નહીં તે માટે દંડના રૂ. 1,000 ભરીને તે ભરતપુર પહોંચી હતી.ત્યાં બુલ્લુ માલીયાનો સંપર્ક કરી તેને રૂ. 50,000 આપી ગાંજો લઈ તે જનરલ કોચમાં પહેલા પુણે અને ત્યાંથી સુરત આવી હતી. તેનો ઈરાદો ગાંજાની પડીકી બનાવી આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓડિશાવાસીઓને વેચી રોકડી કરવાનો હતો.

પોલીસની તપાસમાં દેવું ચૂકતે કરવા તેણે આમ કર્યું હોવાનું કહ્યું હતું. જોકે, વધુ પુછપરછ કરાતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તેની દીકરી તેના પિયર સુરેન્દ્રનગરમાં પિતા પાસે રહેતી હોય તેમને જ સોંપીને તે ભાઈના સાળા સાથે લગ્ન કરી નવી જીંદગી જીવવા માંગતી હતી. તે માટે ભૂતકાળને ભૂંસવા તે દેવું ચૂકતે કરવા માંગતી હતી, તેથી ગાંજો લાવી હતી. ચોકબજાર પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેને ગાંજો સપ્લાય કરનાર ઓડિશા ભરતપુરના બુલ્લુ માલીયાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.