બસ સ્ટેન્ડમાં બસ રિવર્સ લેતા ફેરીયના પગ ઉપર ટાયર ફરી વળ્યું
- સાણંદમાં બસ ચાલકની બેદરકારીના કારણે અક્સમાત
- ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય : બસ ચાલક સામે ફરિયાદ
અમદાવાદ : સાણંદમાં બસ ચાલકની બેદરકારીના કારણે અક્સમાતની ઘટના બની છે. બસ સ્ટેન્ડમાં બસ રિવર્સ લેતા ફેરીયના પગ ઉપર ટાયર ફરી વળ્યું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય છે. ઇજાગ્રસ્તના પત્નીએ સાણંદ પોલીસ સ્ટેશનમાં બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
સાણંદ બસ સ્ટેન્ડમાં ૧૧મી જુનના રોજ સાંજના ચારેક વાગ્યે આસપાસ ભરતભાઇ ચતુરભાઇ દેવીપુજક નામના વ્યક્તિ (ઉ.વ.૩૫, રહે.સાણંદ મુક્તિધામ સામે)
પાણીની બોટલો વેચતા હતા. દરમિયાન બસના ડ્રાઇવરે અચાનક રિવર્સ લેતા ભરતભાઇનો પગ આગળના ટાયર નીચે આવી ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ બુમાબુમ કરી ડ્રાઇવરને બસ ઉભી રખાવી હતી.
ભરતભાઇના પગ પર ટાયર ફરી વળતા છુંદાઇ ગયો હતો અને સાથળના ભાગે પણ ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત ભરતભાઇના પત્ની સોનલબેનએ બસના ડ્રાઇવર સામે બેદરકારીથી બસ ચલાવવા અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.