Get The App

જામનગરના જોડીયા પંથકમાં ગૌ તસ્કરી કરીને જઈ રહેલા બોલેરો ચાલકને ગૌરક્ષકની ટીમે પકડી પાડ્યો : 6 પશુઓને બચાવી લેવાયા

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના જોડીયા પંથકમાં ગૌ તસ્કરી કરીને જઈ રહેલા બોલેરો ચાલકને ગૌરક્ષકની ટીમે પકડી પાડ્યો : 6 પશુઓને બચાવી લેવાયા 1 - image

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી ગૌ તસ્કરીનો એક મામલો સામે આવ્યો છે, અને એક બોલેરો પીકપ વાનમાં છ ગૌવંશને ભરીને કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં ગૌરક્ષકોએ પીછો કરીને બોલેરો ચાલકને ઝડપી પાડ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો છે. જોડીયા પોલીસે લાલપુર પંથકના દેવીપુજક શખ્સની અટકાયત કરી લઇ બોલેરો પીકપવાન કબજે કર્યું છે, જ્યારે છ ગૌવંશને બચાવી લઈ રાજકોટ પાંજરાપોળમાં મોકલી દેવાયા છે.

ધ્રોળ ગૌરક્ષકની ટીમ, રાજકોટ તેમજ જોડીયાના ગૌરક્ષકોની ટીમને જાણકારી મળી હતી, કે એક બોલેરો પીકપવાનમાં કેટલાક ગૌવંશને લઈ જવામાં આવી રહ્યા છે, અને જોડિયાના ભાદરા રોડ પરથી આ વાહન પસાર થઈ રહ્યું છે. જેના આધારે ગૌરક્ષકો ની ટીમે પીછો કર્યો હતો, તેમજ 112 નંબરની પોલીસ ટીમને પણ જાણ કરી દીધી હતી. દરમિયાન ભાદરા પાટીયા પાસે બોલેરો ચાલકનું ટાયર ફાટી જતાં ત્યાંજ ઉભો રહી ગયો હતો. તેથી બોલેરો ચાલકને અટકાવીને તેનું નામ પૂછતા અંદર બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ દિનેશ પરબતભાઈ કામળિયા જાતે દેવીપુજક અને લાલપુરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેના બોલરો વાહનની અંદર ચકાસણી કરતાં અંદર છ ખૂંટિયા ખીચોખીચ ભરેલા હતા, અને કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

આ મામલે ધ્રોળના ગૌરક્ષક ગૌરવભાઈ મહેન્દ્રભાઈ મહેતાએ જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસે બોલેરો ચાલક દિનેશ પરબતભાઈ કામળિયા સામે ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લઈ બોલેરો પીકપ વાન કબજે કરાયું છે, જ્યારે તેમાં રહેલા છ ગૌવંશના પશુઓ ખૂંટિયાને રાજકોટના પાંજરાપોળમાં મોકલી દેવાયા છે.