આજે મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાને 3 વર્ષ પૂરા થશે : કોલેજના મિત્રો ઝૂલતા પુલ ઉપર ગયા ત્યાં કાળ ત્રાટકતાં ચારે'ય મિત્રો એક સાથે જ મૃત્યુ પામ્યા: 135થી વધુ નિર્દોષ નાગરિકોના મૃત્યુ
મોરબી, : વર્ષ 2022ની 30 ઓક્ટોબર મોરબીના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે લખાઈ ગયેલી છે. એ ગોઝારા દિવસે મોરબીનો એતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં બાળકો, મહિલાઓ સહિત 135થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જે અંગેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. દુર્ઘટનામાં પોતાનાં બાળકો ગુમાવનાર વાલીઓની આંખોના અશ્રુ આજે પણ સૂકાયા નથી.
30 ઓક્ટોબર 2022ના રોજ દિવાળીની રજાઓ બાદ સહેલાણીઓ મોરબીના ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા. પરિવાર, મિત્રો સાથે ફરવા ગયેલા સહેલાણીઓને કલ્પના પણ નહિ કરી હોય કે મોરબીનો 135 વર્ષ કરતા વધુ જુનો મોરબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ એતિહાસિક ઝૂલતો પુલ તૂટી જશે. આઠેક માસ મેન્ટેનન્સ માટે બંધ રાખીને 26 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પાંચમા દિવસે ઝૂલતો પુલ તૂટી પડતા 135 નાગરિકોના મોત થયા હતા. એ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહીત 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.


