Get The App

રાજકોટ નજીક અદ્યતન કેન્સર હોસ્પિટલ સાથે રિસર્ચ સેન્ટર થશે, આજે ખોડલધામે ભૂમિપૂજન

Updated: Jan 19th, 2024

GS TEAM


Google News
Google News
રાજકોટ નજીક અદ્યતન કેન્સર હોસ્પિટલ સાથે રિસર્ચ સેન્ટર થશે, આજે ખોડલધામે ભૂમિપૂજન 1 - image


વડાપ્રધાનની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી-કેન્દ્રીય મંત્રીની હાજરીમાં સવારે મહાસભા  : 42.5 એકર જમીનમાં આશરે 350 કરોડના ખર્ચે ડીએનએ જીનોમિક્સના રિસર્ચ સહિત આયોજન સવા વર્ષમાં સાકાર થશે, સર્વ સમાજને લાભ મળશે 

રાજકોટ, : સમસ્ત લેઉઆ પાટીદારના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ દ્વારા રાજકોટથી 20- કિ.મી.ના અંતરે પડધરી તાલુકાના અમરેલી ગામેે સૌરાષ્ટ્રભરમાં જે ઉપલબ્ધ નથી તેવી કેન્સરના દર્દીઓને અદ્યતન સારવાર આપતી હોસ્પિટલની સાથે રિસર્ચ સેન્ટરનું આવતીકાલે રવિવાર તા. 21ના ખોડલધામ (કાગવડ) ખાતે ભૂમિપૂજન અને મહાસભા યોજાશે જે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે અને સવારે 9.30  વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા અન્ય આગેવાનોની હાજરીમાં સવારે ભૂમિપૂજન બાદ આશરે બે લાખ પાટીદારો સહિત સમાજના લોકોની મહાસભા થશે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં સવારે 7 વાગ્યે એક સાથે 27 નામાંકિત કલાકારોનો લોકડાયરો  યોજાશે. 

કાર્યક્રમ સ્થળે એસ.પી., 9 ડીવાય.એસ.પી., 9 પી.આઈ., 50 પી.એસ.આઈ. 330 પોલીસમેનો અને 290 હોમગાર્ડ અને જી.આર.ડી. સહિતનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તથા મંદિર પરિસરને 250 સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે જે દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખશે. 

સાત વર્ષ પહેલા ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જેમાં સંખ્યા સહિતના મુદ્દે અનેક વિશ્વવિક્રમો સ્થપાયા હતા ત્યારે જ તેમના ચેરમેને કૃષિ,આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સર્વોત્તમ સેવા પ્રદાન કરવાનો સંકલ્પ કર્યો હતો જે અનુસંધાને રાજકોટ નજીક 42.5 એકર વિશાળ જમીન પર આ સંકુલ આશરે 30 મહિનામાં સાકાર થશે. પ્રારંભિક તબક્કે 200 બેડની હોસ્પિટલ શરૂ કરી દેવાશે જેમાં હાલ સૌરાષ્ટ્રભરમાં ક્યાંય ઉપલબ્ધ નથી તેવી અદ્યતન સારવાર દર્દીઓને મળી શકશે અને અમદાવાદ,મુંબઈ સહિતના સ્થળે જવું નહીં પડે. આ માટે હોસ્પિટલ માટે રૂ 225 અને રિસર્ચ સેન્ટર 125 કરોડના ખર્ચનો અંદાજ છે. 

ખોડલધામના સૂત્રો અનુસાર હાલ દેશમાં માત્ર નાસિક અને કલકત્તામાં જેની સુવિધા છે તે ડી.એન.એ.જીનોમિક્સ ટેસ્ટ પરનું રિસર્ચ સેન્ટર પણ શરૂ કરાશે. જેમાં બ્લડ ટેસ્ટથી જ કેન્સરનો ખ્યાલ આવી શકે છે. આમ, હોસ્પિટલમાં માત્ર સારવારને બદલે નિદાનની સર્વોત્તમ સેવા આપવા અને તે સર્વ સમાજને આપવા ખોડલધામ દ્વારા સંકલ્પ લેવાયો છે. રોગ થયા પછી સારવારમરને બદલે લોકોને કેન્સર થતો અટકે તે માટે આયુષ વગેરે આધારિત પ્રિવેન્ટીવ કેર પણ શરૂ કરાશે. 

Tags :