હકારાત્મક વિચારો ધરાવનાર કોરોનાને ઝડપથી હરાવી શકે છે
- આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન
- માનસિક સ્વાસ્થ્ય જાળવવા મોબાઈલ નહી મેદાનો ખુબ ઉપયોગી, હસતા નર સદા સુખી
રાજકોટ, તા. 9 ઑક્ટોબર, 2020, શુક્રવાર
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચિંતાજનક બની રહી છે. શારીરિક બિમારીની સાથે કોરોનાના લીધે માનસિક બિમારીનું પ્રમાણ પણ આજના યુગમાં વધતુ રહ્યું છે. તેવા સંજોગોમાં માનસિક તંદુરસ્તી જાળવવા માટે યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા કેટલીક ટીપ્સ આપી મોબાઇલ ફોનના વળગણથી દૂર રહી મેદાની રમતોનો દિનચર્ચામાં સમાવેશ કરવાની તાકીદ કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં તા.૧૦ ઓકટોબરના માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવામાં કઈ કઈ બાબતો ઉપયોગી છે? તે અંગે રસપ્રદ અવલોકન રજૂ કરવામાં આવ્યું છે.આજની દોડધામભરી જીંદગીમાં માનસિક સ્વાસ્થ્ય ખુબ જ જરૃરી છે માનસિક અસ્વસ્થ વ્યક્તિ વારંવાર ગુસ્સે થઈ જાય છે. સમાધાનકરી વલણ અપનાવવાને બદલે મગજ પર કાબુ ગુમાવે છે. આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે પ્રત્યેક કામ તેને નિરસ લાગે છે અથવા તો થાક લાગે છે તેમજ વારંવાર ફરિયાદ કરતા રહે છે.
વ્યક્તિ જયારે ચિંતા હતાશા, એકલતા, ઈર્ષા નફરત, લોભ અને ગુસ્સાનો ભોગ બને છે ત્યારે તેનામાં નાકારાત્મકતા આવે છે જેના માટે ધંધામાં મંદી, ગરીબી, પરીક્ષામાં નિષ્ફળતા, બેકારી જેવા કારણો જવાબદાર હોય છે. માનસિક રીતે સ્વસ્થ રહેવામાં ધ્યાન, યોગ, પ્રાણાયામ હકારાત્મક વિચારો વિગેરે ખુબ જ મદદરૃપ થાય છે. જે લોકો, સકારાત્મક વિચારસરણી ધરાવે છે તેઓ કોરોના જેવી મહામારીને ઝડપથી પરાજિત કરી શકે છે. આ સ્થિતિમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવું ખુબ જ જરૃરી છે. જેમાં યોગ્ય પૌષ્ટિક ખોરાક, શારિરિક વ્યાયામ, સકારાત્મક વિચારો, પસંદગીનું કામ અને ભુલોને સ્વીકારવાનું વલણ ખુબ જ ઉપયોગી થાય છે. મોબાઈલ ફોનને બદલે મેદાનની રમતો વ્યક્તિને વધુ ખુશ રાખે છે. કોઈપણ પરિસ્થિતિમાં વ્યક્તિએ મન ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.