Gujarat

પત્નીનાં આપરેશન માટે વ્યાજે પૈસા લેનારને વ્યાજખોરોનો ત્રાસ

By GS TEAM
3 Feb 20261 min read
પત્નીનાં આપરેશન માટે વ્યાજે પૈસા લેનારને વ્યાજખોરોનો ત્રાસ

રિક્ષાચાલકે ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી

એક વ્યાજખોરને રૂા.25 હજારના બદલામાં રૂા.૫૫ હજાર, બીજા વ્યાજખોરને રૂા.૩૫ હજારના બદલમાં રૂા.૪૫ હજાર ચુકવ્યા છતાં ત્રાસ

રાજકોટ: રામાપીર ચોકડી પાસે હરસિદ્ધિ સોસાયટી શેરી નં.૨માં રહેતા રિક્ષા ચાલક મિલન રાજેશભાઇ ગણાત્રા (ઉ.વ.૩૬)ને વ્યાજખોરોએ મારકૂટ કરી, ધાકધમકી આપતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે સદામ દલવાણી, તેના ભાઇ આફતાબ, અસલમ ડોંકીયા અને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદમાં મિલનભાઇએ જણાવ્યું છે કે, છ મહિના પહેલાં પત્નીનાં ગાંઠના ઓપરેશન માટે પૈસાની જરૂરીયાત પડતાં આફતાબ પાસેથી  રૂા. ૨૫ હજાર ૨૦ ટકા વ્યાજે લીધા હતા. અત્યાર સુધી વ્યાજ અને પેનલ્ટી મળી રૂા.૫૫ હજાર ભરી દીધા છે. બીજા આરોપી અસલમ પાસેથી રૂા.૩૫ હજાર ૨૦ ટકા વ્યાજે લીધા હતા. તેને પણ વ્યાજ અને પેનલ્ટી સહિત રૂા.૪૫ હજાર આપી દીધા છે. આમ છતાં પઠાણી ઉઘરાણી કરે છે. ગઇ તા.૨ના રોજ બપોરે પેસેન્જરને મુકવા રેલવેસ્ટેશને ગયા હતા ત્યારે આફતાબનાં ભાઇ સદામ અને અજાણ્યા શખ્સે જેમ ફાવે તેમ બોલી, ગડદા-પાટુનો માર માર્યો હતો. સાથોસાથ ધમકી આપી હતી કે પૈસા આપી દેજે બાકી પાછા પકડીને મારશુ. આ રીતે અવાર-નવાર હેરાન કરતા હોવાથી ફરિયાદ નોંધાવી હતી. આરોપી સદામ અને અસલમ ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે રહે છે. પ્ર.નગર પોલીસે મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ સહિતની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.