Gujarat

હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક 'સંસ્કૃત કક્ષ'નું નિર્માણ થશે

By GS TEAM
1 Apr 20261 min read
હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક 'સંસ્કૃત કક્ષ'નું નિર્માણ થશે

સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે નવી પહેલ

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ૫૦ હજારની ગ્રાન્ટ ફાળવાઇ ઃ વેદ, ઉપનિષદ અને ગીતાના વિશેષ વર્ગો ચાલશે

હળવદહળવદની તક્ષશિલા સંકુલમાં હવે દેવવાણી સંસ્કૃતના ગુંજારવ માટે વિશેષ 'સંસ્કૃત કક્ષ'નું નિર્માણ થવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત અનુદાન વિતરણ કાર્યક્રમમાં સંસ્થાને રૃ. ૫૦,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાજા અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જ્હા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નવનિમત કક્ષમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત બોલચાલના શબ્દોની સાથે વેદ, ઉપનિષદ, ભગવદ ગીતા અને રામાયણ જેવા પવિત્ર ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે. સંકુલના એમડી ડો. મહેશ પટેલે જણાવ્યું કે, આ ગ્રાન્ટનો ઉપયોગ શૈક્ષણિક ચાર્ટ, ફ્લેશ કાર્ડ, ચિત્રો અને લઘુ પુસ્તકાલય બનાવવા માટે કરવામાં આવશે. ખાસ કરીને વેકેશન દરમિયાન ત્રણ દિવસીય વિશેષ વર્કશોપનું પણ આયોજન થશે, જેથી નાના બાળકો સુભાષિતો અને શ્લોકો સરળતાથી કંઠસ્થ કરી શકે. સંસ્કૃત કક્ષના સુચારુ સંચાલન માટે ચંદ્રિકાબેન માધર, સચિન ચરમારી અને સુરેશ વિડજાને કોઓડનેટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલથી સ્થાનિક સ્તરે ભારતીય સંસ્કૃતિ અને ભાષાના સંવર્ધનને મોટું પ્રોત્સાહન મળશે.