- સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થતા પોલીસની તપાસ તેજ
- કેક લેવાના બહાને આવેલા શખ્સોએ અદાવત રાખી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી
નડિયાદ : નડિયાદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલી એક કેક શોપ પર રાત્રિના સમયે ટોળાંએ યુવક પર જાનલેવા હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય બોલાચાલી બાદ ગણતરીની મિનિટોમાં ૫૦થી વધુ લોકોનું ટોળું ઘસી આવ્યું હતું અને દુકાનદારને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આ હુમલાખોરો પાસે છરી અને છરા જેવા હથિયારો હોવાનું પણ સામે આવ્યું છે. ભોગ બનનાર યુવકે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદના વ્યસ્ત એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં તાલુકા પંચાયતની બાજુમાં જૈમિન શ્રીમાળી નામનો યુવક પન્ટુસ કેક નામની દુકાન ચલાવે છે. રાત્રિના અંદાજે ૧૧ઃ૦૦ વાગ્યાના સુમારે શાહરૂખ નામનો એક શખ્સ અન્ય બે-ત્રણ વ્યક્તિઓ સાથે કેક લેવાના બહાને દુકાને આવ્યો હતો. આ સમયે કોઈ કારણસર જૈમિન સાથે બોલાચાલી થઈ હતી, જેમાં શાહરૂખે તારી નજર ખરાબ છે, તેમ કહી જૈમિન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રારંભિક ઘટના બાદ શાહરૂખ ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ ગણતરીની ૫ મિનિટમાં જ તે શક્કરકુઈ વિસ્તારમાંથી ૫૦થી ૬૦ લોકોના ટોળાંને લઈને પરત ફર્યો હતો. દુકાન પર ધસી આવેલા ઉશ્કેેરાયેલા ટોળાંએ જૈમિન શ્રીમાળી પર તૂટી પડીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન ટોળાંએ અપશબ્દો બોલી ધમકી આપી હતી કે, તને અહીં રહેવા નહીં દઈએ અને કાપી નાખીશું.
આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, આ ઘટનાની જાણ થતા જ નડિયાદના હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ભોગ બનનાર જૈમિન શ્રીમાળીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની દુકાન પર થયેલો આ હુમલો તેને ડરાવવા અને વ્યવસાય બંધ કરાવવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જ્યારે હિન્દુ સંગઠનોએ ચીમકી આપી છે કે, જો હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ મામલે બજરંગ દળના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં પણ જો યુવકો સુરક્ષિત ન હોય તો તે ગંભીર બાબત છે. પોલીસ પ્રશાસનને રજૂઆત કરવામાં આવી છે કે, આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો તંત્ર દ્વારા હુમલાખોરો સામે પગલાં લેવામાં ઢીલ કરવામાં આવશે તો આગામી સમયમાં બજરંગ દળ દ્વારા રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખે આ ઘટનાને પૂર્વ આયોજિત ષડ્યંત્ર ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, શક્કરકુઈ વિસ્તારમાંથી આવતા શખ્સો દ્વારા જાણીજોઈને શાંતિ ડ્હોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે આટલી મોટી સંખ્યામાં હથિયારો સાથે ટોળું એકઠું થાય તે જ બતાવે છે કે તેઓ જાન લેવાના ઈરાદે આવ્યા હતા. તેમણે માંગ કરી છે કે પોલીસ આ તમામ તત્વોને જાહેરમાં લાવી તેમનું સરઘસ કાઢે જેથી ભવિષ્યમાં કોઈ આવું દુઃસાહસ ન કરે.
સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હુમલો
દુકાન માલિક જૈમિન શ્રીમાળીએ જણાવ્યું કે શાહરુખ અને તેના સાથીદારોએ દુકાનમાં ઘૂસીને જે રીતે વર્તન કર્યું તે તમામ પુરાવા કેમેરામાં છે. ટોળું જ્યારે આવ્યું ત્યારે તેમની પાસે હથિયારો હતા અને તેઓ સતત ધમકીઓ આપતા હતા. આ ફૂટેજ હવે પોલીસને સોંપવામાં આવ્યા છે, જેના આધારે મુખ્ય સૂત્રધાર શાહરૂખ સહિતના ટોળાં વિરુદ્ધ નામજોગ ફરિયા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ વીડિયોના આધારે તપાસને આગળ ધપાવી રહી છે.


