હાલોલની પરિણીતા સારવાર માટે આવી હતી અમદાવાદ, વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
હાલોલ ના બસ સ્ટેન્ડની સામે આવેલ વૈશાલી સોસાયટીમાં છેલ્લા 40 વર્ષથી રહેતા સ્વ. વિષ્ણુભાઈ પટેલની દીકરી રૂપલબેનનું બાળપણ તેમજ ભણતર હાલોલ ખાતે થયું હતું. આણંદના ઓડ ગામે રહેતા પીનલભાઈ પટેલ સાથે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ સન 2009થી તેઓ તેમના પતિ સાથે લંડન સ્થાયી થયા હતા. તેમના ત્રણ સંતાનો હતા.
રૂપલબેન પટેલ 3 જૂનના રોજ તેઓની સારવાર અર્થે ભારત આવ્યા હતા. તે પૂર્ણ થતા અમદાવાદથી એર ઇન્ડિયાના વિમાન 171 માં સવાર થઈ લંડન પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન જ તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યા. રુપલબેનને અમદાવાદ એરપોર્ટ ઉપર મૂકીને તેમનો ભાઈ પવન પટેલ નડિયાદ ખાતે ઘરે પરત ફર્યા હતા અને થોડી જ વારમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળતા તેઓ તાત્કાલિક ધોરણે અમદાવાદ પહોંચ્યા હતા.
દુર્ઘટનાને દ્રશ્યો જોઈને પવનના હોશકોશ ઉડી ગયા હતા અને બહેનની શોધખોળ આદરી હતી. રૂપલબેન પટેલના ભાઈ પવન સાથે ગુરૂવારે સાંજે 7 વાગ્યે થયેલી વાતચીત અનુસાર રૂપલબેનનો પતો હજુ મળેલ નથી પણ તેની ઓળખ માટે તંત્ર દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.