જામનગરના મોટા થાવરીયા ગામમાં જમીનના કાનૂની વિવાદમાં વચ્ચે પડેલા એક શખ્સે પી.આઇ. અને પીએસઆઇને ધમકી આપી
Jamnagar : જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં આવેલી એક ખેડૂતની જમીનની માલિકીના કાનૂની વિવાદ વચ્ચે કૂદેલા એક શખ્સે અન્ય સાગરીતોની મદદગારીથી પીએસઆઈ અને પીઆઈ સામે બીભત્સ વાણીવિલાસ કરી એટ્રોસિટીનો કેસ કરવાની ધમકી આપી હોવાની ખુદ પી.આઈ.એ ફરિયાદ નોંધાવી છે.
ખેડૂતના કબજાની વાડીએ આવીને બેસી ગયેલ આરોપીઓને લઈને ખેડૂતે પંચકોશી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં પીએસઆઈ સહિતનો સ્ટાફ મોટા થાવરિયા ગામે પહોચ્યો હતો. જ્યાં આરોપીઓએ પીએસ.આઈ.ની ટીમ સામે બીભત્સ વાણી વિલાસ કર્યો હોવાથી પીએસઆઈએ પીઆઈને જાણ કરી હતી. દરમિયાન સ્થળ પર પહોચેલા પી.આઈ. સાથે પણ આરોપીઓએ જીભાજોડી કરી એસ્ટ્રોસિટીની ફરિયાદની ધમકી આપતાં પોલીસે ત્રણેયને ડીટેઈન કરી પોલીસ દફતર લઇ આવી ફરિયાદ નોંધી છે. જેમાં પી.આઈ. જાતે ફરિયાદી બન્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામે રહેતા કાનજી બાબુ સંઘાણીએ ફોન કરી પંચકોશી પોલીસ દફતરને જાણ કરી હતી કે ત્રણ શખ્સો આવીને પોતાની વાડીમાં ઝઘડો કરે છે, જેને લઈને સૌ પ્રથમ પી.એસ.આઈ. એ.આર.પરમાર સહિતનો સ્ટાફ મોટા થાવરિયા ગામે પહોચ્યો હતો, જ્યાં લાલપુર તાલુકા મથકે રહેતો જીતેશ ઉર્ફે જીતુભાઈ ચનાભાઈ ચાવડા નામનો શખ્સ કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામના ઈમ્તીયાઝશા અબ્દુલશા શાહમદાર અને દિગ્વિજયસિંહ મહાવીરસિંહ જાડેજા નામના બે શખ્સો સાથે મળી આવ્યા હતા.
દરમિયાન ત્યાં હાજર રહેલા જીતેશે પી.એસ.આઈ. સામે વાણીવિલાસ આચરી પોતે અનુસૂચિત જ્ઞાતિનો હોવાથી એટ્રોસિટી અંગે ફરિયાદની ધમકી આપતાં આ બનાવ અંગે પી.એસ.આઈ. પરમારે પોતાના પોલીસ મથકના પી.આઈ. એન.એમ.શેખને જાણ કરી હતી. દરમિયાન પીઆઈ એમ.એન.શેખ ખાનગી વાહન સાથે મોટા થાવરિયા ગામે પહોચ્યા હતા.
જ્યાં જીતેશે પી.આઈ. સાથે પણ બીભત્સ વાણીવિલાસ આચરી એસ્ટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપતાં પી.આઈ. એન.એમ.શેખ. અને તેઓની સમગ્ર પોલીસ ટીમે ત્રણેય વ્યક્તિને ડિટેઇન કરી લીધા હતા, અને પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા બાદ ત્રણેય સામે પી.આઇ. એન.એમ. શેખ જાતે ફરિયાદી બન્યા હતા, અને તેઓ સામે પોલીસની ફરજમાં રૂકાવટ કરવા અંગે ભારતીય ન્યાય સંહિતા 2033 ની કલમ 221, 351(2), 296(ખ), 54 મુજબનો ગુન્હો નોંધ્યો છે, અને આગળની તપાસ હાથ ધરી છે.