વડોદરાના નિઝામપુરા સ્મશાન ગૃહ ખાતે લાકડાનો જંગી જથ્થો બહાર વરસાદમાં પલળી ગયો
Vadodara : વડોદરા કોર્પોરેશનના નિઝામપુરા સ્મશાનમાં લાકડાનો જંગી જથ્થો ગોડાઉન હોવા છતાં બહાર રાખી મૂકવામાં આવતા વરસાદમાં પલળી ગયા છે. હજુ પંદર દિવસ પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સ્મશાનના 200થી 300 મીટર ખુલ્લા વિસ્તારમાં મૃતદેહ બાળવા માટેના જે લાકડા ખુલ્લામાં પડી રહ્યા છે, તે તાત્કાલિક ગોડાઉનમાં કે શેડ નીચે રાખી દેવા જરૂરી છે. કેમ કે ચોમાસાની સિઝન ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. જો ગમે ત્યારે વરસાદ ત્રાટકશે તો લાકડાનો આ જથ્થો પલળી જવાથી સ્મશાન ગૃહએ આવતા લોકોને મૃતદેહ બાળવા માટે મુશ્કેલી સર્જાશે, પરંતુ તંત્ર એ ધ્યાન ન આપ્યું અને તેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.
સામાજિક કાર્યકરના કહેવા મુજબ તંત્રને આગોતરી જાણ કરી હોવા છતાં પણ કાર્યવાહી ન કરનાર સામે પગલાં લેવા જોઈએ. હવે અહીં મૃતદેહ લઈને આવનાર લોકોને બહારથી સૂકા લાકડા નાણા ખર્ચીને મંગાવવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ગયા વર્ષે પણ સળગતી ચિતા ઉપર પતરામાંથી પાણી સતત ટપકતું હતું.