- આધુનિક સંગીત સંધ્યાના ક્રેઝ વચ્ચે પરંપરાગત લગ્નગીતોની સંસ્કૃતિને વિસરાતી બચાવવા પ્રયાસ સાથે સામાજિક કાર્યમાં યોગદાન
સુરત : સામાન્ય રીતે મનુષ્ય પોતાના શોખ પુરા કરવા કે પરિવારની જવાબદારીઓ પૂરી કરવા માટે કમાણી કરે છે. જેમાં મહિલા અને પુરુષ એમ બંનેનો સમાવેશ થાય છે. પરંતુ સુરતનું એક મહિલાઓનું ગ્રુપ એવું છે જેઓ ડોનેશન માટે કમાણી કરે છે. તેઓ લગ્ન પ્રસંગોમાં ગીતો ગાઈને મળતા પૈસાનો ઉપયોગ આદિવાસી પરિવારો માટે કરીને 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ની કહેવતને સાર્થક કરી રહ્યા છે.
જરૂરિયાત મંદોની મદદ માટે અનેક એનજીઓ કાર્યરત છે. કેટલાય લોકો વ્યક્તિગત રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે ડોનેટ કરતા રહે છે. પરંતુ આ વચ્ચે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અંદાજે 200 જેટલી મહિલાઓના ગ્રુપે ચેરીટી શબ્દનો ખરો અર્થ સાબિત કર્યો છે. આ મહિલાઓ લગ્ન પ્રસંગમાં ગવાતા ગીતો ગાયને જે આવક થાય છે તે સંપૂર્ણ આવક જરૂરિયાત મંદ પાછળ ખર્ચતા રહે છે. અડાજણ અનાવિલ સહિયર મંડળ નામનું ગ્રુપ 7 વર્ષથી કાર્યરત છે અને તેમાં 35 વર્ષથી લઈને 76 વર્ષ સુધીની મહિલાઓ નિ:સ્વાર્થ ભાવે ફરજ માનીને માનવતા મહેકાવી રહી છે.
આ ગ્રુપ દર વર્ષે ડાંગના આદિવાસી ગામડામાં જઈને તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નિ:શુલ્ક આપે છે. મહત્વની વાત એવી છે કે તેમાંથી 20 મહિલાઓ લગ્ન પ્રસંગે ગવાતા ટ્રેડિશનલ ગીતો લોકો સમક્ષ રજૂ કરે છે અને જે રાશિ એકત્ર થાય છે તેનો ગરીબોને મદદ કરવામાં સદુપયોગ કરે છે. આ એવી મહિલાઓ છે કે જેમનો કમાણી કરવાનો ફોકસમાત્ર જરૂરિયાત મંદોની મદદ કરી શકાય તે જ છે. મહિલાઓ ગીતો ગાયને થતી એક રૂપિયાની આવક પણ પોતાના ઘરે લઈ જતા નથી અને તેને સંપૂર્ણપણે તેમના ટ્રસ્ટમાં દાન કરી દે છે. જેમાંથી દર વર્ષે કેટલાય આદિવાસી પરિવારોમાં રોનક છવાય છે.
ગ્રુપના વિભૂતિબેન દેસાઈએ કહ્યું કે, અમે લગ્ન ગીતો ગાઈને એકસાથે બે કાર્ય કરીએ છે. એક તો એ કે જે પરંપરાગત લગ્ન ગીતો કે જેમનું સ્થાન આજના યુગમાં સંગીત સંધ્યા લીધું છે તેને વિસરાવાથી બચાવીએ અને બીજી તરફ તેમાંથી થતી આવકને સંપૂર્ણપણે ગરીબોના વિકાસમાં ઉપયોગમાં લઈ શકીએ. અમારા ગ્રુપમાં 76 વર્ષના મધુબેન પણ જોડાયા છે. આજે ડાંગના નીમપાડા,ચિંચલી ગાડવી હિર વગેરે ગામોમાં કીટ વિતરણ કર્યું છે. જેમાં ચિંચલીની સ્કૂલના ૩૭૫ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓઓને નોટબુક,કંપાસ, ડ્રેસ, સ્વેટર, પેન્ટી, સ્કૂલ બેગ અને ગામના પરિવારોમાં ચાદર, ચાડસા, ધાબળા, નાઇટી અને સેનેટરી નેપકીન પણ વિતરણ કર્યુ છે.
અત્યાર સુધી 28 ગામોમાં કીટ વિતરણ કર્યું
નયનાબેન દેસાઈએ કહ્યું કે, અમે દર વર્ષે એક ગામમાં 120 થી 150 કીટનું વિતરણ કરીએ છે અને અત્યાર સુધી 28 ગામોમાં કીટ વિતરણ કરી ચૂકયા છે. તેમાં અનાજ, મરી-મસાલા, દીવાસળી, તેલ, મીઠું , ખાંડ, ચા, દાળ, ચોખા, લોટ વગેરે જરૂરિયાતનો સામાન આપ્યો છે. એક પરિવારને છ મહિના તે મદદરૂપ રહે છે.

કોરોના કાળમાં પણ જરૂરિયાતમંદને 1 વર્ષનું અનાજ આપ્યું : 5 બાળકોની ફી પણ ભરી છે
વિભૂતિબેને વધુમાં કહ્યું કે , કોરોનાના સમયે નિ:સંતાન અને નિ:સહાય હોય તેવા હાથ દંપતીની ટિફિન પહોંચાડ્યા હતા. ઉપરાંત જેમના ધંધા અને રોજગાર કોરોનાને કારણે પડી ભાંગ્યા હતા તેવા અલગ અલગ પરિવારના 5 બાળકોને શાળાની ફી પણ ભરી છે. સાથે જ 1 પરિવારને આખું વર્ષ ચાલે તેટલું અનાજ પણ ભરી આપ્યું હતું અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલા બે પરિવારોને મળીને 50 હજારની મદદ કરી હતી.


