વડોદરાઃ દિલ્હી બ્લાસ્ટ બાદ વડોદરામાં હોટલ- લોજના ચેકિંગ દરમિયાન એક ગંભીર બેદરકારી સામે આવી છે.જેમાં અલકાપુરીની હોટલમાં એસઓજીની ટીમે ચેકિંગ કર્યું ત્યારે થાઇલેન્ડની મહિલા ત્રણ દિવસ રોકાઇને ચાલી ગઇ હોવાની વગતો ખૂલી હતી.
શહેર પોલીસ કમિશનર દ્વારા હોટલ અને લોજ સહિતના સ્થળોએ બહારથી આવતા પ્રવાસીઓની વિગતો પથિક સોફ્ટવેરમાં અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે.જ્યારે,વિદેશી નાગરિક રોકાય તો ૨૪ કલાકમાં ફોરેનર્સ બ્રાન્ચમાંથી આઇડી પાસવર્ડ લઇ સી-ફોર્મ ભરવાનું હોય છે.
અલકાપુરી સંપતરાવ કોલોનીમાં આવેલી હોટલ પામ વ્યૂ રેસિડેન્સીમાં વિદેશી નાગરિકને લગતી માહિતી મળતાં એસઓજીના એએસઆઇ કેતનભાઇ અને ટીમે ચેકિંગ કર્યું હતું.જે દરમિયાન થાઇલેન્ડની નાગરિક થેપોલહોલ મિસ સિરિન્યાફ્ટ હોટલમાં ત્રણ દિવસ રોકાઇને ચેકઆઉટ કરીને ચાલી ગઇ હોવાની માહિતી મળી હતી.
આ મહિલા પાસે વિઝા હતા.પરંતુ હોટલના સંચાલકે જાણ નહિ કરતાં એસઓજીએ હોટલ સંચાલક સુનિલ ઉધ્ધવદાસ તોલાની (રૃપાલી સોસાયટી, દંતેશ્વર) સામે જાહેર નામાના ભંગ બદલ ગુનો નોંધાયો છે.


