Get The App

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં "એક ફુલ દો માલી" જેવો કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે ચકચાર

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં "એક ફુલ દો માલી" જેવો કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે ચકચાર 1 - image


જામનગર શહેરમાં ત્રણબત્તી નજીકના વિસ્તારમાં પ્રણય ત્રિકોણનો કિસ્સો સામે આવ્યો છે, અને "એક ફૂલ દો માલી" જેવો ઘાટ ઘડાયો છે.

સંગીતા નામની એક યુવતી કે જેને છેલ્લા ચાર મહિનાથી ગોંડલનો એક યુવાન પ્રેમ કરતો હતો, જે જામનગર આવ્યા બાદ સંગીતાનો બીજો પ્રેમી આવી ગયો હતો, અને સંગીતા મારી છે, તેને છોડી દેજે તેમ કહી પોતાના સાગરીતની મદદથી છરી વડે હુમલો કરી દીધો હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, અને બે હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે ગોંડલનો વતની પરાગ જયંતીભાઈ સખિયા નામનો 22 વર્ષનો યુવાન કે જે ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાં ગીતા લોજ પાસે આવીને ઊભો હતો. જે દરમિયાન જામનગરના અંબર ચોકડી વિસ્તારમાં રહેતા મનીશ દેવાભાઈ જોગસવા અને ઉદલ કનૈયાલાલ પરમાર ત્યાં ધસી આવ્યા હતા, અને પ્રેમ પ્રકરણના કારણે પરાગ સાથે જીભા જોડી કર્યા પછી હુમલો કરી દીધો હતો.

જેમાં ઉદલ પરમારે પાછળથી છરીનો ઘા જીક દેતાં પરાગ લોહી લુહાણ બન્યો હતો, અને તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને ત્યાં તેને ટાંકા લેવા પડ્યા હતા. ત્યારબાદ તેણે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બંને હુમલાખોરો મનીષ જોગસવા અને ઉદલ પરમાર સામે હુમલા અંગેની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન પરાગ કે જેને છેલ્લા ચાર પાંચ મહિનાથી જામનગરમાં રહેતી સંગીતા નામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને તેને મળવા માટે જામનગર આવ્યો હતો. દરમિયાન આરોપી મનીષ જોગસવા ત્રણબત્તી વિસ્તારમાં ધસી આવ્યો હતો, અને સંગીતા મારી છે, તેને છોડી દેજે, અને બીજી વાર અહીં દેખાયો તો પતાવી નાખશું. તેવી ધમકી આપીને હુમલો કરી દીધો હતો. હાલ બંને આરોપીઓ ભાગી છુટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

Tags :