સુરત પાલિકાના પાપે અકસ્માત થવાની ભીતિ : ટ્રાફિકથી ધમધમતા રોડ પર ડ્રેનેજનું ઢાંકણું તૂટ્યું, લોકોએ દંડો મૂકી આડાશ કરી
Surat : સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની રેઢિયાળ કામગીરીના કારણે આજે દિલ્હી ગેટ રોડ પર સંખ્યાબંધ વાહન ચાલકોના માથે અકસ્માતનું જોખમ રહેલું હતું. સતત ટ્રાફિકથી ધમધમતા દિલ્હીગેટ રોડ પર રાત્રીના સમયે ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું હતું અને ગેપ થઈ ગયો હતો. જેના કારણે મોટો અકસ્માત થાય તેવી શક્યતા હતી આ ઢાંકણથી અકસ્માત થાય તે પહેલા કેલાક લોકોએ દંડો મુકીને આડાશ કરી હતી. જેની જાણ સવારે પાલિકાને થતાં પાલિકાએ બેરીકેટ મુકીને ઢાંકણ રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. સદ્દ નસીબે આ સમય દરમિયાન કોઈ અકસ્માત થયો ન હતો.
ગત ફેબ્રુઆરી મહિનામાં સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અમરોલી-વરીયાવ રોડ પર સ્ટ્રોમ ડ્રેનેજના ખુલ્લા ઢાંકણમાં બે વર્ષનો કેદાર વેગડ પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો અને પોલીસે માનવવધનો ગુનો હતો. આ ગંભીર ઘટના બાદ પણ પાલિકા તંત્ર સુધરતું નથી અને હજી પણ ઘણી જગ્યાએ ડ્રેનેજના ઢાંકણ તૂટેલા કે ખુલ્લા મળી રહ્યા છે. પાલિકાની ગંભીર બેદરકારીનું આજે ફરી એકવાર પુનરાવર્તન થયું છે. સતત ટ્રાફિકથી ધમધમતા દિલ્હીગેટ રોડ પર ફરી એક ડ્રેનેજનું ઢાંકણ તુટી ગયું અને મોટો ગેપ જોવા મળ્યો હતો.
આ રોડ પરથી સતત ટ્રાફિક પસાર થતો હોય છે અને આ ગેપમાં જે ટુવ્હીલર પડી જાય તો મોટો અકસ્માત થાય અને કોઈનો જીવ પણ જાય તેવી સ્થિતિ હતી. આ સ્થિતિ લોકોએ જોતા ખાડામાં લાકડી મુકીને વાહન ચાલકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં સફળતા મળી હતી. આ ખાડા પર લાકડી મુકી હોવાથી કોઈ અકસ્માત થયો ન હતો. આ અંગેની જાણ થતાં પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દોડી ગયા હતા અને ખાડાની આસપાસ બેરીકેટ મુકી દીધા હતા. અને ત્યાર બાદ પાલિકાએ તૂટેલા ઢાંકણની જગ્યાએ નવું ઢાકણ મુકવા તથા રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.