Ahmedabad News : અમદાવાદ શહેરના હૃદય સમાન અને સતત ધમધમતા ભદ્ર વિસ્તારમાં આજે(19 ડિસેમ્બર) મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતાને પરિણામે એક ભયાનક અકસ્માત થતો અટકી ગયો છે. પ્રેમાભાઈ હોલની પેરાપેટ વોલ (અગાશીની પાળી) જોખમી રીતે નમી ગઈ હોવાનું ધ્યાને આવતા જ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી દીવાલને સુરક્ષિત રીતે દૂર કરી છે.
DyMCના મોર્નિંગ રાઉન્ડમાં જોખમ પકડાયું
આજે શુક્રવારે વહેલી સવારે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) ભદ્ર પરિસરમાં મોર્નિંગ રાઉન્ડ પર હતા. આ દરમિયાન તેમની નજર પ્રેમાભાઈ હોલના ઉપરના ભાગે ગઈ હતી, જ્યાં પેરાપેટ વોલ બહારની તરફ ભયજનક રીતે નમેલી હાલતમાં જોવા મળી હતી. દીવાલ ગમે ત્યારે નીચે પડી શકે તેમ હોવાથી તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી
હજારો મુલાકાતીઓના માથે તોળાતું હતું જોખમ
ભદ્રકાળી માતાનું મંદિર અને ભદ્રનો કિલ્લો હોવાને કારણે આ પરિસરમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ, ફેરિયાઓ અને રાહદારીઓની અવરજવર રહેતી હોય છે. જો આ નમેલી દીવાલ ધરાશાયી થઈ હોત, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. લોકોના જાનમાલને નુકસાન ન પહોંચે તે હેતુથી એસ્ટેટ વિભાગના કાફલાએ સ્થળ પર પહોંચીને આ જોખમી ભાગને તોડી પાડ્યો હતો.


